
અમદાવાદઃ વિરાટ કોહલીની આરસીબીએ 3 જૂનના રોજ 18 વર્ષમાં પ્રથમ વખત આઈપીએલ ખિતાબ જીત્યો હતો. જીત નક્કી થતાં વિરાટ કોહલી ભાવુક થઈ ગયો હતો. મેચ બાદ તેણે જણાવ્યું કે, ટ્રોફી માટે તે અને તેની પત્ની અનુષ્કા શર્મા કેટલી પીડામાંથી પસાર થયા છે.17 સીઝન સુધી કોહલીની આંખોમાં દુખના આંસુ હતા પરંતુ 18મી સીઝનમાં તેની આંખમાં ખુશીના આંસુ હતા.
અંતિમ બોલ પર આરસીબીની જીત નક્કી થતાં જ કોહલી તેને રોકી શક્યો નહોતો. જમીન પર બેસીને તે રડી પડ્યો હતો. જે બાદ પત્ની અનુષ્કાને ભેટ્યો હતો અને તેની આંખોમાં પણ આંસુ હતા. બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરતી વખતે વિરાટ કોહલીએ 18 વર્ષ બાદ આઈપીએલ જીતમાં અનુષ્કા શર્માની ભૂમિકાને પણ શ્રેય આપ્યો. અનુષ્કા શર્મા હંમેશા વિરાટ કોહલીની સપોર્ટ સિસ્ટમ રહી છે.
વિરાટ કોહલીએ કહ્યું, તમારો જીવનસાથી તમારા માટે શું કરી શકે છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અનુષ્કા ભાવનાત્મક રીતે જે તબક્કામાંથી પસાર થઈ છે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.
રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુએ પંજાબ કિંગ્સને મંગળવારે રાત્રે આઇપીએલ-2025ની ફાઇનલમાં છ રનથી હરાવીને 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું હતું. પંજાબને પણ પ્રથમ વખત ટાઇટલ જીતવાની સુવર્ણ તક હતી જે એણે ગુમાવી હતી. બેંગલૂરુએ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 184 રન કરી શકી હતી. રજત પાટીદાર પહેલી વાર આરસીબીનો સુકાની બન્યો અને આ ટીમને ટ્રોફી અપાવી હતી.
આ પણ વાંચો….પ્રીતિ ઝિન્ટા Vs વિરાટ કોહલી: કોણ છે વધુ ધનવાન? જાણો IPL અને અન્ય સ્ત્રોતોથી થતી કમાણી