ભારતનો ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલર કેમ આવું કહે છે…`આજે મુંબઈ કરતાં પંજાબની સફળતાની વધુ સંભાવના છે’

અમદાવાદઃ 2011થી 2015 દરમ્યાન ભારત વતી 18 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા તેમ જ આઇપીએલમાં બેંગલૂરુ, કોલકાતા, રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને દિલ્હી વતી રમનાર ભારતના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલર વરુણ આરોન (VARUN AARON)નું માનવું છે કે આજે અમદાવાદમાં આઇપીએલની ક્વૉલિફાયર-ટૂમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) કરતાં પંજાબ કિંગ્સ (PBKS)ની સફળતાની વધુ શક્યતા છે.
મૂળ ઝારખંડના વરુણ આરૉનનું એવું કહેવું છે કે ` પંજાબના ઓપનર્સ (પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ) તેમ જ કૅપ્ટન શ્રેયસ ઐયર બહુ સારા ફૉર્મમાં છે અને અમદાવાદની પિચ પર તેમના જેવા ટૉપ-ઑર્ડર (TOP ORDER)ની સફળતાની વધુ શક્યતા છે.
મારા મતે અમદાવાદની પિચ પંજાબની ટીમ માટે વધુ અનુકૂળ છે. બન્ને ટીમના બૅટ્સમેન આ પિચ પર સારું પર્ફોર્મ કરી શકશે, પણ મારી દૃષ્ટિએ પંજાબને વધુ સારો મોકો છે, કારણકે પંજાબની ટીમનો સૌથી વધુ મદાર એના બન્ને ઓપનર્સ પર હોય છે.’
આપણ વાંચો: મુંબઈનું છઠ્ઠું ટાઇટલ કે આઇપીએલને મળશે નવું ચૅમ્પિયન?
જંગ હાર્યા છીએ, યુદ્ધ નહીંઃ શ્રેયસ ઐયર
2024માં કોલકાતા નાઇટ રાઇડર્સને ટ્રોફી અપાવનાર કૅપ્ટન શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પંજાબના કૅપ્ટન શ્રેયસે 29મી મેએ બેંગલૂરુ સામેની ક્વૉલિફાયર-વન હારી ગયા પછી કહ્યું હતું કે અમે જંગ હાર્યા છીએ, યુદ્ધ નહીં.
‘ રિકી પૉન્ટિંગ પંજાબનો હેડ-કોચ છે અને તે આજની મુંબઈ સામેની મૅચ જીતવા માટે પંજાબની ટીમને સતત મૉટિવેટ કરતો રહે છે. ઑસ્ટ્રેલિયાના જ ભૂતપૂર્વ ખેલાડી અને જાણીતા કોચ ટૉમ મૂડીએ કહ્યું છે કે ક્વૉલિફાયર-વનમાં બેંગલૂરુ સામે માત્ર 101 રનમાં ઑલઆઉટ થઈ ગયાના આઘાતમાંથી પંજાબના ખેલાડીઓએ વહેલા બહાર આવી જવું પડશે અને આ સીઝનમાં કઈ ખાસિયતોએ તેમને પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર-વન પર લાવી દીધા હતા એ સકારાત્મક બાબતોને ધ્યાનમાં લેતા રહેવું પડશે. આજે મુંબઈ જીતવા માટે ફેવરિટ કહી શકાય, પરંતુ પંજાબની બાદબાકી કોઈ કાળે ન થઈ શકે.’
મુંબઈએ ગુજરાતને એલિમિનેટરમાં 20 રનથી હરાવીને કવૉલિફાયર-ટૂમાં પ્રવેશ કર્યો છે. આજે મુંબઈ-પંજાબમાંથી જીતનારી ટીમ મંગળવારે અમદાવાદમાં જ બેંગલૂરુ સામે ફાઇનલમાં રમશે.
આપણ વાંચો: સૂર્યવંશીની રેકોર્ડ બ્રેક સદીથી લઇને મ્હાત્રેની વિસ્ફોટક બેટિંગઃ આઇપીએલના જાણો ઉતાર-ચઢાવ…
પ્રથમ બૅટિંગ પંજાબ માટે ફાયદાકારક
ટૉમ મૂડી (Tom Moody)નું માનવું છે કે પંજાબે ટૉસ જીતવા મળે તો પ્રથમ બૅટિંગ લઈને લક્ષ્યાંક સેટ કરવાનું જ પસંદ કરવું જોઈએ. વરુણ આરોને પણ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ` હું ટૉમ મૂડી સાથે બિલકુલ સહમત છું. પંજાબે ટાર્ગેટ સેટ કરવાની વ્યૂહરચના જ અપનાવવી જોઈએ. ખાસ કારણ એ છે કે પંજાબની બૅટિંગ લાઇન-અપ ખાસ કંઈ અનુભવી નથી એટલે તેમણે ચેઝ કરવા કરતાં લક્ષ્યાંક નક્કી કરી આપવાની સ્ટ્રૅટજી જ અપનાવવી જોઈએ.’