મુંબઈમાં રહેતા પંજાબ કિંગ્સના આ પ્લેયરે વર્લ્ડ રેકોર્ડ રચ્યો
ગુરુવારની ક્વૉલિફાયર-વનમાં રસપ્રદ વિક્રમો પણ બન્યા: આજે મુંબઈ વિરુદ્ધ ગુજરાત

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ ગુરુવારે અહીં આઈપીએલ (IPL-2025)ના પ્લે-ઑફની પ્રથમ મૅચ (કવૉલિફાયર-વન)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) સામે હારી ગઈ હતી, પરંતુ પંજાબના એક યુવાન ખેલાડીએ અનોખો વિશ્વ વિક્રમ રચ્યો હતો. 20 વર્ષનો ઓલરાઉન્ડર મુશીર ખાન વિશ્વનો એવો પહેલો ખેલાડી છે જેણે ટૂર્નામેન્ટના પ્લે-ઑફમાં રમીને ટી-20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે.
આ પહેલાં ટી-20 ફોર્મેટમાં રમી ચૂકેલા હજારો ખેલાડીઓમાંથી એક પણ પ્લેયરે કોઈ ટૂર્નામેન્ટના પ્લે-ઑફમાં રમીને ટી-20માં ડેબ્યૂ નહોતું કર્યું.
અત્યાર સુધીમાં 84 ખેલાડીએ આઈપીએલમાં રમીને ટી-20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે, પણ આઈપીએલના પ્લે-ઑફમાં રમીને ટી-20 ક્રિકેટમાં પ્રવેશ કરનાર મુશીર ખાન વિશ્વનો પહેલો જ ખેલાડી છે.
ભારતના ટેસ્ટ ક્રિકેટર સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન પણ મુંબઈમાં જ રહે છે. આ પહેલાં તે ક્યારેય ડોમેસ્ટિક ક્રિકેટની એકેય ટી-20 મૅચ નહોતો રમ્યો. સ્પિનર મુશીરે ગુરુવારે આરસીબીના મયંક અગરવાલ (19 રન)ની વિકેટ લીધી હતી.
મુશીલ ખાનને પંજાબની ટીમ આ મૅચમાં રમાડવાની પણ નહોતી. ઇમ્પેક્ટ પ્લેયરના લિસ્ટમાં તેનું નામ ત્રીજા નંબરે હતું. પંજાબના ટીમ મેનેજમેન્ટે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે વિજયકુમાર વૈશાક અથવા પ્રવીણ દુબેને રમાડવાનું નક્કી કર્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ યોજના બદલીને મુશીરને મેદાન પર ઊતાર્યો હતો.
સની ગુપ્તા નામના ખેલાડીની જેમ મુશીર પ્લે-ઑફમાં રમીને આઈપીએલમાં ડેબ્યૂ કરનાર બીજો ખેલાડી છે જોકે પ્લે-ઑફમાં રમીને સમગ્ર ટી-20 ફોર્મેટમાં પહેલી વાર રમનાર મુશીર વિશ્વનો પ્રથમ પ્લેયર બન્યો છે.
પંજાબ ક્વોલિફાયર ટૂમાં, બેંગ્લૂરુ સીધું ફાઈનલમાં
ગુરુવારે પંજાબની ટીમ બૅટિંગ મળ્યા પછી ફક્ત 101 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બેંગ્લૂરુના ફાસ્ટ બોલર જૉશ હેઝલવૂડ અને સ્પિનર સૂયશ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ યશ દયાલે મેળવી હતી. બેંગલૂરુએ ફિલ સૉલ્ટના 56 રનની મદદથી માત્ર 10 ઓવરમાં (60 બૉલ બાકી રાખીને) બે વિકેટે 106 રન બનાવીને વિજય મેળવવાની સાથે ત્રીજી જૂનની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુયશ શર્માને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
તમામ 15 વખત નંબર-ટુ ટીમ પહોંચી ફાઇનલમાં
2011માં આઈપીએલમાં પ્લે-ઑફ સિસ્ટમ શરૂ કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં તમામ 15 સીઝનના પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર રહેનારી ટીમ ક્વૉલિફાયર-વનમાં જીતીને સીધી ફાઇનલમાં પહોંચી છે. ગુરુવારે 15મો કિસ્સો આરસીબીની બાબતમાં બન્યો હતો.
આપણ વાંચો: મને જન્મદિને રમવું ગમતું જ નથી, પણ આ દિવસ સ્પેશિયલ: વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશ
આરસીબીના નવ પ્લેયર મૅન ઑફ ધ મૅચ બન્યા
આ વખતની સીઝનમાં આરસીબીના નવ ખેલાડી મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યા છે. 2017ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સના 10 ખેલાડી મૅન ઑફ ધ મૅચ બન્યા હતા. આ વખતના આરસીબીના નવ અવૉર્ડ વિજેતામાં વિરાટ કોહલી, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, જૉશ હૅઝલવૂડ, કૃણાલ પંડ્યા, રજત પાટીદાર, જિતેશ શર્મા, ફિલ સૉલ્ટ અને સુયશ શર્માનો સમાવેશ છે.
આજે મુંબઈ વિરુદ્ધ ગુજરાત
ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં જ આજે (સાંજે 7.30 વાગ્યાથી) પ્લે-ઑફની બીજી મૅચ (એલિમિનેટર) રમાશે જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આજે જીતનારી ટીમ રવિવારે અમદાવાદમાં પંજાબ સામે રમશે જેમાં જીતનારી ટીમ ફાઈનલમાં બેંગ્લૂરુ સામે મુકાબલામાં ઊતરશે. જોકે આજે હારી જનારી ટીમ સ્પર્ધામાંથી આઉટ થઈ જશે.