સૂર્યકુમાર મુંબઈને જિતાડ્યા પછી બોલ્યો, `મારી પત્નીએ મને કહ્યું હતું કે…’

મુંબઈઃ બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મહત્ત્વની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને વિજય અપાવીને પ્લે-ઑફમાં પહોંચાડનાર સૂર્યકુમાર યાદવને પ્લેયર ઑફ ધ મૅચનો જે પુરસ્કાર આપવામાં આવ્યો એ તેણે પત્ની દેવિશા શેટ્ટી (DEVISHA SHETTY)ને ડેડિકેટ કર્યો હતો અને એ અવસરે તેણે જણાવ્યું કે દેવિશાએ તેને એક ખાસ વાત કરી છે જે તેને ખૂબ સ્પર્શી ગઈ અને એટલે જ અવૉર્ડ તેને અર્પણ કર્યો છે.
મુંબઈએ આપેલા 181 રનના લક્ષ્યાંક સામે દિલ્હીની ટીમ 121 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને મુંબઈનો 59 રનથી વિજય થયો હતો. એ પહેલાં, મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે જે 180 રન બનાવ્યા હતા એમાં સૂર્યકુમાર (73 અણનમ, 43 બૉલ, ચાર સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. નમન ધીરે અણનમ 24 રન, તિલક વર્માએ 27 રન અને રાયન રિકલ્ટને પચીસ રન કર્યા હતા. વિલ જૅક્સનો એમાં 21 રનનો ફાળો હતો.

મૅચમાં મેઘરાજાના વિઘ્નો નહોતા આવ્યા, પણ મૅચ પૂરી થયા બાદ વરસાદ શરૂ થયો હતો અને ઇનામ-વિતરણ સમારોહમાં સૂર્યકુમાર (SURYAKUMAR YADAV) છત્રી સાથે આવ્યો હતો. તેણે કહ્યું, `એમઆઇની 13 મૅચ થઈ ગઈ. મારી પત્ની દેવિશાએ મને એક રસપ્રદ વાત કરી. તેણે મને કહ્યું હતું કે તમે દરેક પુરસ્કાર જીત્યા છો, પણ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ એક પણ નથી. આજે હું આ પુરસ્કાર પણ જીત્યો એનો મને બેહદ આનંદ છે અને આ અવૉર્ડની ટ્રોફી હું તેના (દેવિશાના) નામે કરું છું. ટીમના દૃષ્ટિકોણથી પણ આ જીત અને મારો પર્ફોર્મન્સ સ્પેશિયલ છે.’
સૂર્યાએ આ સીઝનમાં 13 મૅચમાં કુલ 583 રન બનાવ્યા છે જે ગુરુવારની સાંજે આ સીઝનના તમામ બૅટ્સમેનોમાં ત્રીજા નંબરે હતા. મુંબઈ ઇન્ડિયન્સની 14મી અને છેલ્લી લીગ મૅચ 26મી મેએ જયપુરમાં પંજાબ કિંગ્સ સામે રમાશે. ત્યાર બાદ 29મી મેએ પ્લે-ઑફ રાઉન્ડ શરૂ થશે.
આ પણ વાંચો…સ્ટેડિયમમાં અસંખ્ય ચાહકોના આગમન પહેલાં જ રોહિત વિકેટ ગુમાવી બેઠો!