રિષભ પંતને 27 કરોડ રૂપિયાનો પૂરો પગાર નહીં મળે? કેમ?

નવી દિલ્હીઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (RISHABH PANT) આઇપીએલ (IPL-2025)ના ખેલાડીઓની હરાજીમાં સૌથી વધુ 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તેના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ પ્લે-ઑફમાં તો ન પ્રવેશી શકી, ખુદ રિષભ પંતે છેલ્લી લીગ મૅચની અણનમ સેન્ચુરી (અણનમ 118 રન) અને એ પહેલાં ચેન્નઈ સામેની 63 રનની ઇનિંગ્સને બાદ કરતા આખી સીઝનમાં નબળું પર્ફોર્મ કર્યું હતું.
હવે એક અહેવાલમાં એવું જણાવાયું છે કે પંતને 27 કરોડ રૂપિયાનો આખો પગાર નહીં મળે અને એમાંથી સારો એવો હિસ્સો કપાયા બાદ તેના હાથમાં લગભગ 15.52 કરોડ રૂપિયા જેટલી રકમ આવશે.
આપણ વાંચો: બોલર દિગ્વેશ રાઠી કંઈ મારો સગો નથી…રિષભ પંતે આ બહુ ખોટું કર્યું : અશ્વિને કેમ આવું કહ્યું?
કહેવાય છે કે પંતના 27 કરોડ રૂપિયાના પગારમાંથી 11.48 કરોડ રૂપિયા જેટલી રકમ કરવેરા (TAX) તરીકે કપાઈ જશે. આ 37 ટકા રકમ કપાઈ ગયા બાદ તેના હાથમાં સાડાપંદર કરોડ રૂપિયા જેટલી રકમ આવશે.
સામાન્ય રીતે આઇપીએલના ખેલાડીને તેનું ફ્રૅન્ચાઇઝી એક સીઝનની જેટલી રકમ આપવાનું નક્કી કરે (ઑક્શનમાં બોલી બોલાયા બાદ તે જેટલા ભાવે ખરીદવામાં આવે) એનો અમુક હિસ્સો ટૂર્નામેન્ટની શરૂઆત વખતે આપવામાં આવે છે, અમુક ભાગ બીજા હપ્તા તરીકે ટૂર્નામેન્ટ દરમ્યાન અથવા વર્ષના મધ્ય ભાગમાં અને બાકીનો હિસ્સો વર્ષને અંતે અપાય છે અને એમાં સંબંધિત ખેલાડીએ ફ્રૅન્ચાઇઝીના માર્કેટિંગને લગતા કામમાં પણ નાની-મોટી ભૂમિકા ભજવવી પડે છે.
રિષભ પંતે આ સીઝનમાં 14 મૅચમાં કુલ 269 રન કર્યા જેમાંના 118 રન તેની છેલ્લી ઇનિંગ્સમાં બન્યા હતા.
પંતના સુકાનમાં લખનઊની ટીમ 14માંથી આઠ મૅચ હારી ગઈ હતી અને સાતમા નંબર પર રહી હતી.