અમદાવાદમાં મેઘરાજા ત્રાટક્યા, મૅચનો આરંભ વિલંબમાંઃ મૅચ ન રમાય તો શું?

અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની આઇપીએલની ક્વૉલિફાયર-ટૂ મૅચમાં ટૉસ (TOSS) ઉછાળવામાં આવ્યો ત્યાર બાદ મૅચ શરૂ થવાનો સમય નજીક આવ્યો ત્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ધોધમાર વરસાદને લીધે ખેલાડીઓ, અધિકારીઓ તેમ જ હજારો પ્રેક્ષકો અને ટીવી-દર્શકો પણ હતાશ હતા.
આઇપીએલ (IPL-2025)ની મંગળવારની ફાઇનલ માટે રિઝર્વ-ડે છે, પણ પ્લે-ઑફની કોઈ પણ મૅચ માટે રિઝર્વ-ડે ન હોવાથી મામલો વધુ ગૂંચવણભર્યો બન્યો છે. મુંબઈ-પંજાબની આ ક્વૉલિફાયર-ટૂ માટે પણ રિઝર્વ-ડે નથી. વરસાદને લીધે મૅચ ખોરવાઈ જશે અને ઓછી ઓવર રમાશે તો પરિણામ શક્ય છે, પરંતુ જો મૅચ નહીં રમાય તો પંજાબની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે અને મુંબઈની ટીમ સ્પર્ધાની બહાર થઈ જશે.

મૅચ અનિર્ણીત રહેતાં પંજાબની ટીમ સીધી ફાઇનલમાં જવા પાછળનું મુખ્ય કારણ એ છે કે પૉઇન્ટ્સ-ટેબલમાં પંજાબની ટીમ મુંબઈ કરતાં ઉપર હતી. બેમાંથી જે ટીમ પૉઇન્ટ્સમાં ચડિયાતી સ્થિતિમાં હોય એ ટીમને આગળ જવા મળે એ જોતાં પંજાબને ફાઇનલમાં જવાનો મોકો મળશે.
લીગ રાઉન્ડ સુધીના (પ્લે-ઑફના આરંભ પહેલાંના) પૉઇન્ટ્સ-ટેબલની સ્થિતિ આ મુજબ હતીઃ પંજાબ (19 પૉઇન્ટ), બેંગલૂરુ (19 પૉઇન્ટ), ગુજરાત (18 પૉઇન્ટ), મુંબઈ (16 પૉઇન્ટ).