અમદાવાદમાં વરસાદે કરોડો ક્રિકેટપ્રેમીઓના હૃદયના ધબકારા વધારી દીધા છે
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનક, બૉલિવૂડ ઍક્ટર્સ અને ટીમના માલિકો મૅચ જોવા આવી રહ્યા છે

અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનની હાઈ-વૉલ્ટેજ ફાઇનલ છે, પરંતુ મેઘરાજા રવિવારની ક્વૉલિફાયર-ટૂ મૅચની જેમ થોડીઘણી મજા બગાડશે એવી સંભાવના છે, કારણકે આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે અમદાવાદમાં વરસાદ (RAIN) પડી રહ્યો હતો. સાંજે 4.00 વાગ્યાની આસપાસ ઝરઝર વરસાદ પડવાનો શરૂ થયા બાદ ભારે વરસાદ પડતાં અનેક ક્રિકેટપ્રેમીઓના હૃદયના ધબકારા વધી ગયા હતા. આ મૅચ આજે રમાશે અને રમાશે તે એમાં કેટલા અને કેવા વિઘ્નો આવશે એ પ્રશ્નો સૌના મનને મૂંઝવતા હતા.
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનક તેમ જ બૉલિવૂડના ઍક્ટર્સ અને ટીમોના માલિકો આ મૅચ જોવા સ્ટેડિયમમાં પધારવાના હોવાથી સલામતીની તેમ જ અન્ય રાબેતામુજબની વ્યવસ્થા પૂરજોશમાં થઈ રહી છે, પરંતુ મેઘરાજા જ મજા બગાડશે તો બધાની આશા પર પાણી ફરી વળશે એવી સંભાવના હતી. જોકે ઍક્યુવેધરની વેબસાઇટના અહેવાલ મુજબ આજની મૅચ દરમ્યાન વરસાદ પડવાની માત્ર નવ ટકા સંભાવના છે.
આ પણ વાંચો – IPL FINAL-2025: RCBના જિતવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે… જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી?
આ ફાઇનલ આજે જ પૂરી થઈ શકે એ માટે બીસીસીઆઇએ વધારાની 120 મિનિટના સમયનો નિયમ લાગુ કરવાનું નક્કી કર્યું છે, પરંતુ જો એમાં પણ પરિણામ ન આવી શકે તો બુધવારે રિઝર્વ-ડેએ બાકીની રમત થઈ શકશે. જો રિઝર્વ-ડેએ પાંચ-પાંચ ઓવરની મૅચ દ્વારા તેમ જ સુપર ઓવરથી પણ ફાઇનલનું પરિણામ શક્ય નહીં બને તો પંજાબને ચૅમ્પિયન ઘોષિત કરવામાં આવશે, કારણકે લીગ રાઉન્ડના પૉઇન્ટ્સ-ટેબલમાં પંજાબની ટીમ સર્વોપરિ હતી.
અમદાવાદના મેદાન વિશે થોડું જાણીએ…
અમદાવાદનું સ્ટેડિયમ 1,00,000 કરતાં પણ વધુ સીટની ક્ષમતાવાળું ક્રિકેટ જગતનું સૌથી મોટું સ્ટેડિયમ છે જ, આ મેદાન હાઈ-સ્કોરિંગ મૅચો માટે જાણીતું પણ છે. અહીં આઠમાંથી સાત ઇનિંગ્સમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમે 200 રનનો આંકડો પાર કર્યો છે. આ સ્થળે આઠમાંથી છ મૅચ એવી થઈ જેમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમે વિજય મેળવ્યો છે. પંજાબની ટીમ આ સીઝનમાં અહીં બે મૅચ રમી છે અને બન્ને જીતી છે. પચીસમી માર્ચે અમદાવાદમાં પંજાબે પોતાની પ્રથમ મૅચમાં ગુજરાતને 11 રનથી હરાવ્યું હતું. રવિવાર, પહેલી જૂને પંજાબે આ જ મેદાન પર મુંબઈને પાંચ વિકેટે પરાજિત કરીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બેંગલૂરુની ટીમે આ વખતે પંજાબની ટીમને ત્રણમાંથી બે મૅચમાં હરાવી છે, પણ રજત પાટીદારની કૅપ્ટન્સીવાળી બેંગલૂરુની ટીમ માટે એક ચિંતાજનક વાત એ છે કે આ વખતે અમદાવાદમાં બેંગલૂરુની ટીમ પહેલી જ વખત રમવાની છે.
આ પણ વાંચો – IPL FINAL-2025: RCBના જિતવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે… જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી?
પિચ મિશ્ર માટીવાળીઃ પંજાબ અહીં જીતી ચૂક્યું છે
અમદાવાદના મેદાનની મુખ્ય પિચ પર આજે ફાઇનલ રમાશે. કાળી અને લાલ, બન્ને પ્રકારની માટીથી બનેલી આ પિચ પર આજે ફાઇનલ રમાશે. આ એ જ પિચ છે જેના પર પંજાબે પચીસમી માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે વિજય મેળવ્યો હતો. એ મૅચમાં કૅપ્ટન શ્રેયસ ઐયરે 42 બૉલમાં નવ સિક્સર અને પાંચ ફોરની મદદથી અણનમ 97 રન કર્યા હતા. તેણે પોતાની સેન્ચુરી પૂરી કરવાની લાલચ ટાળીને ટીમને બને એટલા વધુ રન અપાવવા શશાંક સિંહને વધુ સ્ટ્રાઇક આપી હતી. શશાંકે અણનમ 44 રન કર્યા હતા. ગુજરાતે પાંચ વિકેટે 243 રન કર્યા હતા અને ગુજરાતની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 232 રન કરી શકતા પંજાબનો 11 રનથી વિજય થયો હતો.