
અમદાવાદ: શ્રેયસ ઐયર (87 અણનમ, 41 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર)ની ધમાકેદાર અને યાદગાર કેપ્ટન્સ ઇનિંગ્સે પંજાબ કિંગ્સ (પીબીકેએસ)ને રવિવારની મધરાત બાદ દોઢ વાગ્યે આઈપીએલ (IPL-2025)ની ફાઇનલમાં પહોંચાડી દીધું હતું. પહેલી જૂને શરૂ થયેલી મૅચ બીજી જૂને પૂરી થઈ હતી. પંજાબ બીજી વખત ફાઈનલમાં આવ્યું છે.
પંજાબે ક્વોલિફાયર-ટૂના રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને છ બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને હરાવવાની સાથે ફાઇનલમાં શાનથી પ્રવેશ કર્યો હતો.
વરસાદના શરૂઆતના સવાબે કલાકના વિઘ્ન બાદ મુંબઈએ 20 ઓવરમાં છ વિકેટે 203 રન કર્યા હતા. પંજાબે જવાબમાં 19 ઓવરમાં પાંચ વિકેટે 207 રન કરીને વિજય મેળવ્યો હતો.. મૅન ઑફ ધ મૅચ શ્રેયસના અણનમ 87 ઉપરાંત ચોક્કા અને છગ્ગાની આતશબાજીથી નેહલ વઢેરાએ 48 રન તથા વિકેટકીપર જૉશ ઇંગ્લિસે 38 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
મુંબઈ વતી અશ્વની કુમારે બે તેમ જ બોલ્ટ અને હાર્દિકે એક-એક વિકેટ લીધી હતી.
પંજાબ કે બેંગલૂરુને પહેલી વાર ટ્રોફી જીતવા મળશે
મંગળવારે (સાંજે 7:30 વાગ્યાથી) પંજાબ અને બેંગલૂરુ વચ્ચે અમદાવાદમાં જ ફાઇનલ રમાશે અને એ સાથે આઇપીએલને નવું ચેમ્પિયન મળશે. પંજાબની ટીમ 11 વર્ષે પ્લે-ઑફમાં પહોંચી અને હવે ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ચોથી વાર ફાઇનલમાં પહોંચેલા બેંગલૂરુની ટીમ બે દિવસ પહેલાં જ અમદાવાદ પહોંચી ગઈ અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હવે ફાઈનલમાં શ્રેયસ અને વિરાટ કોહલી વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જામશે.

મુંબઈ પહેલી વાર 200-પ્લસ ડિફેન્ડ ન કરી શક્યું
મુંબઈની ટીમ ઈતિહાસમાં પહેલી વાર 200-પ્લસનું પોતાનું ટોટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી.
શ્રેયસની ફાઇનલ પહેલાં જ સિદ્ધિ
શ્રેયસ એવો પહેલો કેપ્ટન છે જે ત્રણ ટીમને ફાઇનલમાં લઈ ગયો. પહેલાં તેણે દિલ્હી કેપિટલ્સને, ત્યાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સને અને હવે પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચાડ્યું છે. એમાં પણ, કોલકાતાને તેણે 2024ની સીઝનમાં ટ્રોફી અપાવી હતી.
શ્રેયસે કહ્યું હતું, ‘હજી અમે યુદ્ધ નથી હાર્યા’
શ્રેયસે બેંગલૂરુ સામેની ક્વોલિફાયર-વન હાર્યા પછી કહ્યું હતું કે ‘અમે જંગ હાર્યા છીએ, યુદ્ધ નહીં.’ તેણે આ પડકાર મનમાં ભરી રાખીને મુંબઈની ટીમને પછાડ્યા બાદ હવે ફરી બેંગલૂરુ સાથે ફરી ભીડવાની તૈયારી કરી લીધી છે.
હવે શ્રેયસ જબરદસ્ત જોશ અને જુસ્સા સાથે જીત્યો હોવાથી બેંગલૂરુની ટીમ મંગળવારની ફાઇનલ માટે નવેસરથી વ્યૂહરચના ઘડશે.
શ્રેયસે 26.75 કરોડ રૂપિયા વસૂલ કરી આપ્યા
પંજાબના ફ્રેન્ચાઇઝીએ શ્રેયસને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તેણે ટીમને ફાઇનલમાં પહોંચાડીને એ પૈસા વસૂલ કરી આપ્યા છે.
બોલ્ટે કૅચ છોડ્યો, હાર્દિકની એક ભૂલ: મુંબઈની હાર નક્કી થઈ
મુંબઈના ટ્રેન્ટ બોલ્ટે કટોકટીના સમયે નેહલ વઢેરાનો કૅચ છોડ્યો અને નવા બોલર રીસ ટોપ્લીની એક ઓવરમાં ત્રણ સિક્સર ગઈ એ બે ટર્નિંગ પોઇન્ટ પંજાબની ફેવરમાં રહ્યા હતા.

હાર્દિકે 19મી અત્યંત મહત્વની ઓવરમાં પોતે બોલિંગમાં આવવાને બદલે અશ્વની કુમાર જેવા બિન અનુભવી બોલરને ઓવર આપીને ભૂલ કરી હતી. શ્રેયસે એ ઓવરમાં ચાર છગ્ગા ફટકારીને ખેલ ખતમ કરી નાખ્યો હતો. અશ્વનીની એ ખર્ચાળ ઓવરમાં 26 રન થયા હતા.
શ્રેયસની સીઝનની છઠ્ઠી હાફ સેન્ચુરી સૌથી ધમાકેદાર
2024માં કોલકત્તા નાઈટ રાઈડર્સને ટ્રોફી અપાવનાર પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે આ સીઝનની છઠ્ઠી હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે પ્રથમ ફિફટી આ જ મેદાન પર ગુજરાત ટાઇટન્સ સામે નોંધાવ્યા હતા અને હવે મુંબઈ સામે ફક્ત 28 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી. તેની સામે એક પછી એક વિકેટ પડતી ગઈ પણ તે ક્રીઝમાં અડીખમ ઊભો રહ્યો હતો.
બુમરાહના ત્રણ યોર્કરનો શ્રેયસે આપ્યો જવાબ
શ્રેયસે બુમરાહના ત્રણ ખતરનાક યોર્કરમાં હળવેકથી બૉલને સ્ટમ્પ્સની પાછળની દિશા બતાવીને બૉલ બાઉન્ડરી લાઇનની બહાર મોકલીને ત્રણેય યોર્કરનો કચરો કરી નાખ્યો હતો.
તિલક, સૂર્યાના 44-44 રન પાણીમાં
એ પહેલાં, મુંબઈની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 203 રન બનાવીને પંજાબને 204 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપવામાં સફળ થઈ હતી. તિલક વર્મા (44 રન, 29 બૉલ, 2 સિક્સર, 2 ફોર) અને સૂર્યકુમાર યાદવ (44 રન, 26 બૉલ, 3 સિક્સર, 4 ફોર) મુંબઈના ટૉપ-સ્કોરર હતા. 200-પ્લસ રનમાં નમન ધીર (37 રન, 18 બૉલ, 7 ફોર)નું પણ સારું યોગદાન હતું.
પંજાબની ટીમ વતી ઓમરઝાઈએ સૌથી વધુ બે વિકેટ તેમ જ વૈશાક, જેમીસન, ચહલ અને સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો…શું અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ સામે મૅચ-ફિક્સિંગનો આક્ષેપ કર્યો હતો?: જોકે સત્ય કંઈક જૂદું જ છે