પૉન્ટિંગ છેલ્લી ઘડીએ વિમાનમાંથી ઊતરી ગયો અને પછી તેણે પંજાબના વિદેશી ખેલાડીઓને…

નવી દિલ્હીઃ ક્રિકેટરો સામાન્ય રીતે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિમાં પોતાના દેશમાં કે વિદેશમાં કોઈ મૅચ રમવા કે મુસાફરી કરવા ટેવાયેલા નથી હોતા એટલે એવી કોઈ અણધારી ઘટના બને ત્યારે તેઓ સલામત જગ્યાએ અથવા પોતાના પરિવાર પાસે પહોંચી જતા હોય છે, પરંતુ આઇપીએલની પંજાબ કિંગ્સ (PBKS) ટીમના વિદેશી હેડ-કોચ અને વિદેશી ખેલાડીઓએ શનિવારે પહેલાં જે કંઈ કર્યું એ અસાધારણ કહેવાય.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આઠમી મેએ મોટા પાયે યુદ્ધ (WAR) શરૂ થઈ જતાં હિમાચલ પ્રદેશના ધરમશાલામાં (દિલ્હી સામે પંજાબના 10.1 ઓવરમાં બનેલા 122/1ના સ્કોર વખતે) મૅચ રદ કરી નાખવામાં આવી હતી અને બન્ને ટીમના ખેલાડીઓને પહેલાં તો 40થી 50 વાહનોમાં પંજાબ પહોંચાડવામાં આવ્યા અને ત્યાર પછી સ્પેશિયલ ટ્રેનમાં દિલ્હી (DC) લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ખેલાડીઓ માટે હોટેલમાં જવાની વ્યવસ્થા કરાયા બાદ તેમને પોતાના દેશમાં પાછા જવાનું કહેવામાં આવ્યું હતું. 10માંથી નવ ટીમના વિદેશી પ્લેયરો સ્વદેશ પાછા જવા રવાના થયા, પરંતુ શનિવારે રાત્રે પંજાબના હેડ-કોચ રિકી પૉન્ટિંગ (RICKY PONTING) અને એ ટીમના ખેલાડીઓ ભારતમાં જ રહી ગયા હતા.
પૉન્ટિંગ પણ ઑસ્ટ્રેલિયા ભેગો થઈ શક્યો હોત, પણ તેણે ચિંતાજનક સ્થિતિમાં મુસાફરોથી ભરાયેલા વિમાનમાંથી છેલ્લી ઘડીએ ઊતરી ગયો હતો અને પંજાબના ફ્રૅન્ચાઇઝીના અધિકારીઓ સાથે સંપર્ક કર્યા બાદ દિલ્હીની હોટેલમાં જ રહી ગયો હતો. એટલું જ નહીં, તેણે પંજાબની ટીમના વિદેશી ખેલાડીઓને પણ દિલ્હીમાં જ રહી જવા સમજાવ્યા હતા. વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર પૉન્ટિંગનું એવું માનવું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે પૂર્ણ સ્તરે યુદ્ધ નહીં થાય એટલે આઇપીએલ ગમે ત્યારે પાછી શરૂ થઈ શકે એમ છે.
પંજાબ કિંગ્સના સીઇઓ સતીશ મેનને પીટીઆઇને કહ્યું હતું કે `પૉન્ટિંગનું આ જ ખાસિયત છે. તેના જેવો પ્રભાવશાળી ખેલાડી જ આવું કરી શકે.’ પંજાબના વિદેશી ખેલાડીઓ (OVERSEAS PLAYERS) માર્કસ સ્ટોઇનિસ, આરૉન હાર્ડી, જૉશ ઇંગ્લિસ અને ઝેવિયર બાર્ટલેટ (તમામ ઑસ્ટ્રેલિયાના) આઠમી મેએ ધરમશાલાથી (બાય રોડ) કાર/બસમાં અને ત્યાર બાદ ટ્રેનમાં પ્રવાસ કરીને ખૂબ થાકી ગયા હતા એટલે ઑસ્ટ્રેલિયા પાછા જતી વખતે વિમાનમાં ભરપૂર આરામ કરવાના મૂડમાં હતા, પરંતુ તેમણે પૉન્ટિંગનું માનીને ભારતમાં જ રહી જવાનું પસંદ કર્યું હતું. પંજાબની ટીમમાંથી સાઉથ આફ્રિકાનો માર્કો યેનસેન જ ભારતથી રવાના થયો હતો, પણ તે સ્વદેશ જવાને બદલે દુબઈ ગયો હતો એટલે વહેલાસર પાછો ભારત આવી જશે. એવું મનાય છે કે આઇપીએલ ફરી શરૂ થશે ત્યારે પંજાબ-દિલ્હી વચ્ચે આઠમી મેએ અધવચ્ચે રદ કરાયેલી મૅચ ફરીથી રમાશે.