IPL 2025નેશનલ

ચિન્નાસ્વામી સ્ટેડિયમ દુર્ઘટના: ભૂલ રોકી શકાઈ હોત… – પ્રિયાંક ખડગેએ સ્વીકારી પ્રશાસનની ચૂક

બેંગલુરૂ: IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2025ની રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ ટીમે ભવ્ય જીત મેળવી હતી. જેની ઉજવણી માટે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3 લાખથી વધુ લોકોની જનમેદની એકઠી થઈ હતી. પરંતુ ભારે ભીડના કારણે પરિસ્થિતિ વણસી હતી અને સ્ટેડિયમમાં નાસભાગ થઈ હતી. જેમાં 11 લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને કૉંગ્રેસના નેતા અને કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ પ્રસાશનની ભૂલનો સ્વીકાર કર્યો છે.

મુખ્યમંત્રીએ જવાબદારી લીધી છે

મીડિયા સાથે વાત કરતા પ્રિયાંક ખડગેએ જણાવ્યું કે, “હા ભૂલ થઈ છે. યોગ્ય પ્લાનિંગ અને સંકલનથી તેને રોકી શકાઈ હોત. 18 વર્ષ બાદ RCBએ ટ્રોફી જીતી છે. તેની ઘણા ચાહકોની ખુશી છે. પણ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની ક્ષમતા 35,000 લોકોને સમાવવાની છે, પરંતુ 2-3 લાખથી વધારે લોકો રસ્તા પર ભેગા થઈ ગયા હતા. અમે અમારી તરફથી પૂરતો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભીડનું નિયંત્રણ થઈ શક્યું નહીં. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેની જવાબદારી લીધી છે અને અને તેમણે અધિકારીઓને આ માટે સુધારાત્મક પગલાં લેવા સૂચના આપી છે.”

મુખ્યમંત્રી રાજીનામું આપશે? સંબિત પાત્રા

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગને લઈને ભાજપે પણ પ્રેસ કોન્ફરન્સ યોજીની કર્ણાટક સરકાર પર પ્રહારો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે, શું આ માત્ર એક્સિડેન્ટ છે? આ સામાન્ય નાસભાગ થઈ નહોતી. મુખ્યમંત્રી કહે છે કે આવી નાસભાગ થતી રહે છે. આ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેના અંગત ઝઘડાના કારણે થયું છે. જ્યારે સ્ટેડિયમમાં 35,000 લોકોની ક્ષમતા છે, તો 3 લાખ લોકો કેવી રીતે આવી ગયા. વિક્ટ્રી પરેડ કોના કહેવા પર કરવામાં આવી, તેના માટે કોણ જવાબદાર છે. આયોજકો અને પોલીસ વચ્ચે કેમ કોઓર્ડિનેશન થયું નહીં?

હવે રાહુલ ગાંધી છે ક્યાંઃ ભાજપનો સવાલ

ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ કર્ણાટક સરકાર પર પ્રહાર જણાવ્યું હતું કે, “બહાર લોકો મરી રહ્યા છે અને અંદરખાને ઉજવણી થઈ રહી છે. સૌને ખબર હતી કે, મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો રસ્તા પર આવી જશે. તેમ છતાં કોઈ સઘન વ્યવસ્થા કેમ કરવામાં આવી નહીં. શું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રાજીનામું આપશે? 25 હજાર એક્સ્ટ્રા ટિકિટ વેચાયી છે. રાહુલ ગાંધી ક્યાં છે? શું તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને બોલાવશે?”

આ પણ વાંચો – વિજયની ઉજવણી વિશે બીસીસીઆઈનો મોટો નિર્ણય આવી રહ્યો છે: અહેવાલ

ભાજપએ દરેક વાતમાં રાજનીતિ કરવી છે: ખડગે

ભાજપના આક્ષેપોનો જવાબ આપતા પ્રિયાંક ખડગેએ જણાવ્યું હતું કે, “હાલ પરિસ્થિતિ કેવી છે, એની સાથે ભાજપને કોઈ મતલબ નથી. તેમને દરેક વાતમાં રાજનીતિ કરવી પસંદ છે. BJPને અમે કહ્યું હતું કે, આટલા ઓછા સમયમાં ખુલ્લી બસમાં વિક્ટ્રી પરેડ કરવી અસંભવ છે. કારણ કે વ્યવસ્થાનો અભાવ છે. ત્યારે BJPએ અમને કહ્યું કે, તમે ટીમનું અપમાન કરી રહ્યા છો. હવે એ જ BJP અમને નૈતિકતાનો પાઠ શિખવી રહી છે. ભાજપ કોઈપણ વાતે રાજનીતિ કરવામાં પાછીપાની કરતી નથી, પછી ભલે તે રાષ્ટ્રીય ભાવના જ કેમ ન હોય.”

ઉલ્લેખનીય છે કે નાસભાગની આ ઘટનાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક લોકોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકો માટે 10-10 લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button