IPL 2025

બીસીસીઆઈએ આ કારણે શ્રેયસ ઐયર અને હાર્દિક પંડયા સહિત સમગ્ર ટીમને ફટકાર્યો દંડ

મુંબઈ : આઇપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબે શાનદાર જીત મેળવી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ વિજય બાદ પંજાબના ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા હતા પરંતુ આ દરમિયાન બીસીસીઆઈ તેમને મોટો ઝટકો આપ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ મેચ પછી પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર સહિત ટીમના તમામ ખેલાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ સાથે પણ કંઈક આવું જ બન્યું છે. મુંબઈ ઇન્ડિયનના ખેલાડીઓ અને કેપ્ટન પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબ અને મુંબઈની ટીમને દંડ ફટકારાયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ બંનેએ ધીમો ઓવર રેટ રાખ્યો હતો. જે આઈપીએલના નિયમોનો ભંગ છે. જેના કારણે બોર્ડને આવું પગલું ભરવું પડ્યું. જેમાં કેપ્ટન ઉપરાંત બંને ટીમોના પ્લેઇંગ ઇલેવનમાં સમાવિષ્ટ ખેલાડીઓ અને ઇમ્પેક્ટ ખેલાડીઓ પર પણ દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે ટીમોએ આ સિઝનમાં એક કરતા વધુ વખત ધીમાં ઓવર રેટની ભૂલ કરી છે. પંજાબ કિંગ્સ માટે આ બીજી વખત હતું જ્યારે તેમની ટીમે ધીમો ઓવર રેટ રાખ્યો હતો.જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ માટે આ સિઝનની ત્રીજી ભૂલ છે.

શ્રેયસ ઐયરને 24 લાખ અને હાર્દિક પંડયાને 30 લાખનો દંડ

પંજાબ કિંગ્સ દ્વારા આ ભૂલ બીજી વખત કરવામાં આવી હતી. તેથી ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર પર 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ટીમના બાકીના ખેલાડીઓ પર 6-6 લાખ અથવા મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ પ્લેયરને પણ આ જ દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે ત્રીજી વખત આ ભૂલ કરી છે, જેના કારણે ટીમના કેપ્ટન પર થોડો વધુ દંડ ફટકારવામાં આવ્યો છે. હાર્દિકને 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ટીમના બાકીના ખેલાડીઓ પર 12 લાખ અથવા મેચ ફીના 50 ટકા દંડ ભરવો પડશે.

આ પણ વાંચો…વિરાટ-અનુષ્કા માસ્ક પહેરીને આવી પહોંચ્યા અમદાવાદમાં…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button