શું અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ સામે મૅચ-ફિક્સિંગનો આક્ષેપ કર્યો હતો?: જોકે સત્ય કંઈક જૂદું જ છે

અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) અમદાવાદમાં આઇપીએલની જે ક્વૉલિફાયર-ટૂ મૅચ છે એમાં જીતનારી ટીમ મંગળવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે ફાઇનલ રમશે, પરંતુ એ પહેલાં આજની મુંબઈ-પંજાબ મૅચને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને (RAVICHANDRAN ASHWIN) એક વીડિયો પરની મુલાકાતમાં જે મંતવ્યો આપ્યા એને સોશિયલ મીડિયામાં મૅચ-ફિક્સિંગની શંકા તરીકે ગણાવી દેવામાં આવ્યા હતા. જોકે સત્ય કંઈક જૂદું જ છે.
ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના સ્પિનર આર. અશ્વિને મુંબઈ-પંજાબ મુકાબલા પહેલાં ટિપ્પણી (COMMENT) કરી હતી કે હંમેશાં કટોકટીની મૅચ દરમ્યાન મુંબઈ ઇન્ડિન્સને ભાગ્યનો સાથ (LUCKY) મળી જતો હોય છે.
આપણ વાંચો: અશ્વિને સીએસકે અને ધોની વિશે કેમ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે?
2018ની એક મૅચમાં અશ્વિન પંજાબની ટીમનો કૅપ્ટન હતો અને ત્યારની મુંબઈની પંજાબ સામેની મૅચની વાત કરતા અશ્વિને વીડિયોમાં કહ્યું કે 13 ઓવરમાં મુંબઈના પાંચ વિકેટે માત્ર 80 રન હતા.
તેમના જીતવાની કોઈ સંભાવના નહોતી. અચાનક ફ્લડલાઇટ્સ ખરાબ થઈ ગઈ અને 20 મિનિટનો બે્રક પડ્યો. રમત ફરી શરૂ થઈ ત્યારે કીરૉન પોલાર્ડ તૂટી પડ્યો હતો અને તેની ફટકાબાજીની મદદથી મુંબઈએ 180 જેટલા રન ખડકી દીધા હતા.’ અશ્વિને વીડિયોમાં એવું પણ કહ્યું હતું કે એમઆઇને હંમેશાં નસીબનો સાથ મળતો હોય છે.
આપણ વાંચો: અશ્વિને જ્યારે ઇન્ડોર નેટમાં સપોર્ટ સ્ટાફના દરેક પાસે બોલિંગ કરાવી…
હા, સફળતા માટે મહેનત કરીને નસીબને તમારે તમારી તરફ વાળવું પડતું હોય છે. જોકે મેં જોયું છે કે એમઆઇને ભાગ્યનો સાથ મળી રહેતો હોય છે. હવે શોધવાનું એ છે કે એને કઈ રીતે આટલો બધો નસીબનો સાથ મળી રહેતો હોય છે.’
અશ્વિનની ટિપ્પણીઓનું સોશિયલ મીડિયામાં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. કેટલાક ક્રિકેટચાહકો એવો દાવો કરે છે કે અશ્વિને એમઆઇ સામે મૅચ-ફિક્સિંગનો આક્ષેપ કર્યો છે, પણ હકીકત જુદી જ છે.
પહેલી વાત એ છે કે અશ્વિને વીડિયો પરની વાતચીતમાં એક વાર પણ ફિક્સિંગ શબ્દનો પ્રયોગ નહોતો કર્યો. તેણે માત્ર મુંબઈને મળેલા નસીબના સાથની જ વાત કરી છે. આમાં અશ્વિને એમઆઇ સામે ફિક્સિંગનો આરોપ મૂક્યો હોય એવો કોઈ પુરાવો છે જ નહીં.
બીજું, એમઆઇએ અશક્ય લાગતી જીત હાંસલ કરી હતી. પંજાબે 16 ઓવરમાં એક વિકેટે 145 રન કર્યા હતા. લક્ષ્યાંક 189 રનનો હતો. જસપ્રીત બુમરાહે 17મી ઓવરમાં માત્ર ચાર રનના ખર્ચે બે વિકેટ લીધી હતી.
બુમરાહે 19મી ઓવરમાં છ રનના ખર્ચે વધુ એક વિકેટ લીધી હતી અને એમઆઇને રોમાંચક વિજય અપાવ્યો હતો. એમઆઇ માટે એ વિજય નસીબને લીધે નહીં, પણ બુમરાહની અસરદાર બોલિંગને કારણે શક્ય બન્યો હતો.