IPL 2024

મોહાલીના ‘અખાડા’માં પંજાબ-દિલ્હી વચ્ચે જંગ

બન્ને ટીમ 16-16 મૅચ જીતી છે, શનિવારે નવો હિસાબ શરૂ થશે

મોહાલી: પંજાબ રાજ્યની વાત હોય અને અખાડાનો ઉલ્લેખ ન થાય તો નવાઈ લાગે. ભારતીય ખેલકૂદને અનેક વીરો અને વીરાંગનાઓ આપી ચૂકેલા આ દમદાર રાજ્યના મોહાલી શહેરમાં મુલ્લાનપુર વિસ્તારમાં નવું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું છે. આમ તો એનું નામ મહારાજા યદવિન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે, પણ સ્થાનિક સ્તરે એ ‘સડ્ડા અખાડા 2.0’ તરીકે ઓળખાય છે. આ જ ‘અખાડા’માં શનિવાર, 23મી માર્ચે આઇપીએલની બીજી મૅચમાં પંજાબ કિંગ્સનો દિલ્હી કૅપિટલ્સ સાથે મુકાબલો છે.

શિખર ધવનના સુકાનવાળી પંજાબની ટીમ માટે આ હોમ-ગ્રાઉન્ડ છે, પણ કાર-અક્સ્માત પછી ફરી રમવા આવેલા રિષભ પંતની કૅપ્ટન્સીમાં દિલ્હીની ટીમ આ મેદાન પર જીતીને પંજાબ-તરફી ક્રિકેટપ્રેમીઓને આંચકો આપવા કોઈ કસર નહીં છોડે.
2023ની સીઝનમાં પંજાબની ટીમે શરૂઆત સારી કરી હતી, પણ ખેલાડીઓની ઈજાઓને કારણે છેવટે એ ટીમ આઠમા સ્થાને રહી હતી. ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા તથા નેસ વાડિયા, મોહિત બર્મન અને કરણ પૉલની સહ-માલિકીવાળી પંજાબની ટીમ આ વખતે ટાઇટલ જીતવા વધુ આશાવાદી હોવાનું કારણ એ છે કે એની ટીમમાં ક્રિસ વૉક્સ, રાઇલી રોસોઉ, તનય ત્યાગરાજન તથા શશાંક સિંહનો ઉમેરો થયો છે તેમ જ ઇંગ્લૅન્ડનો જૉની બેરસ્ટૉ પાછો આવી ગયો છે. ખાસ કરીને પેસ બોલર હર્ષલ પટેલ બૅન્ગલોરને બદલે હવે પંજાબની ટીમને મજબૂત કરતો જોવા મળશે.

આપણ વાંચો: સ્પિનર ઝૅમ્પાએ રમવાની ના પાડી એટલે મુંબઈના રણજી ચૅમ્પિયનને આઇપીએલમાં એન્ટ્રી કરવા મળી ગઈ

બીજી તરફ, દિલ્હી કૅપિટલ્સ માટે 2023ની સીઝન પડકારરૂપ હતી અને રિષભ પંતની ગેરહાજરીમાં આ ટીમ છેક નવમા નંબર પર રહી હતી. જોકે હવે પંત પાછો આવી ગયો છેે તેમ જ ઝાય રિચર્ડસન, ટ્રિસ્ટેન સ્ટબ્સ અને જેક ફ્રેઝર-મૅકગર્કને કારણે ટીમ વધુ મજબૂત થઈ ગઈ છે.

આઇપીએલમાં બન્ને ટીમના પર્ફોર્મન્સ પર નજર કરીએ તો 16 વર્ષના ઇતિહાસમાં પંજાબ અને દિલ્હી, બેમાંથી એક પણ ટીમ ટાઇટલ નથી જીતી શકી.

બન્ને ટીમનું એક સરખાપણું એ છે કે તેઓ એક-એક વખત રનર-અપ બની છે. 2014ની આઇપીએલની ફાઇનલમાં પંજાબનો કોલકાતા સામે અને 2020ની ફાઇનલમાં દિલ્હીનો મુંબઈ સામે પરાજય થયો હતો.

આપણ વાંચો: આઇપીએલના પહેલા આદિવાસી ક્રિકેટરે 3.60 કરોડનો કૉન્ટ્રૅક્ટ ગુમાવ્યો

જોકે દિલ્હીની ટીમ છ વખત પ્લે-ઑફમાં પહોંચી શકી છે, પણ પંજાબે બે જ વાર લાસ્ટ-ફોરમાં સ્થાન મેળવ્યું છે.
બન્ને ટીમનો આમનેસામને હિસાબ એકસરખો રહ્યો છે. આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં પંજાબ અને દિલ્હી વચ્ચે કુલ 32 મૅચ રમાઈ છે જેમાંથી 16 પંજાબે અને 16 દિલ્હીએ જીતી છે.

દિલ્હીની ટીમ પંજાબ સામે રનની દૃષ્ટિએ 2017માં સૌથી મોટા 51 રનના માર્જિનથી જીતી હતી. એ પહેલાં, 2009માં દિલ્હીનો પંજાબ સામે (ડકવર્થ/લુઇસ) મેથડને આધારે 10 વિકેટે વિજય થયો હતો. પંજાબે દિલ્હી સામે 2017માં 10 વિકેટના માર્જિનથી જીત મેળવી હતી. ત્યારે પંજાબે દિલ્હીની ટીમને 67 રનમાં આઉટ કરી દીધી હતી અને 7.5 ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. રનની દૃષ્ટિએ પંજાબે દિલ્હી સામે વધુમાં વધુ 31 રનના તફાવતથી વિજય મેળવ્યો છે.

દિલ્હી સામે પંજાબનો હાઈએસ્ટ સ્કોર 231 રન અને પંજાબ સામે દિલ્હીનો સૌથી ઊંચો સ્કોર 202 રન છે. સૌથી નીચા સ્કોરની બાબતમાં દિલ્હીના 67 રનના સ્કોર સામે પંજાબનો દિલ્હી સામેનો સૌથી નીચો સ્કોર 104 રન રહ્યો છે.

આપણ વાંચો: આઇપીએલના ટાઇટલ માટે કોણ ફેવરિટ?

બન્ને ટીમમાં કોણ-કોણ છે?
પંજાબ કિંગ્સ: શિખર ધવન (કૅપ્ટન), પ્રભસિમરન સિંહ, જિતેશ શર્મા (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), જૉની બેરસ્ટૉ, અર્શદીપ સિંહ, રાહુલ ચાહર, સૅમ કરૅન, રિશી ધવન, નૅથન એલીસ, હરપ્રીત બ્રાર, હરપ્રીત સિંહ, વિદ્વથ કેવરપ્પા, લિઆમ લિવિંગસ્ટન, હર્ષલ પટેલ, સિકંદર રઝા, પ્રિન્સ ચૌધરી, કૅગિસો રબાડા, રાઇલી રોસોઉ, શશાંક સિંહ, શિવમ સિંહ, ક્રિસ વૉક્સ, અથર્વ ટેઇડ, આશુતોષ શર્મા, તનય ત્યાગરાજન અને વિશ્ર્વનાથ સિંહ.

દિલ્હી કૅપિટલ્સ: રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), શાઈ હોપ (વિકેટકીપર), પૃથ્વી શો, ડેવિડ વૉર્નર, ટ્રિસ્ટેન સ્ટબ્સ (વિકેટકીપર), અભિષેક પોરેલ (વિકેટકીપર), રિકી ભુઈ, સ્વસ્તિક ચિકારા, જેક ફ્રેઝર-મૅકગર્ક, યશ ધુલ, કુમાર કુશાગ્ર, મિચલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, સુમીત કુમાર, ઇશાંત શર્મા, ખલીલ અહમદ, પ્રવીણ દુબે, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, ઍન્રિચ નોર્કિયા, વિકી ઓસ્તવાલ, રસિખ સલામ અને ઝાય રિચર્ડસન.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing