રોહિત-વિરાટ હવે સીધા પર્થમાં રમતા જોવા મળશે?
ભારતીય ક્રિકેટરોની બાંગ્લાદેશ ટૂર મોકૂફ રહેવાની પાકી સંભાવના

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ (Bangladesh)માં ગયા વર્ષથી તંગ રાજકીય પરિસ્થિતિ છે અને નાગરિકોમાં અસંતોષ પણ છે એટલે એકંદરે એ દેશમાં પરિસ્થિતિ ગંભીર હોવાથી બીસીસીઆઇ (BCCI) ઑગસ્ટમાં ભારતીય ક્રિકેટરોને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 રમવા બાંગ્લાદેશ નહીં મોકલે એવી પાકી સંભાવના છે એ જોતાં રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)નું મેદાન પરનું કમબૅક વિલંબમાં મુકાશે અને હવે છેક ઑક્ટોબરમાં પર્થમાં રમતા જોવા મળશે.
રોહિત અને વિરાટ ટી-20 ઇન્ટરનૅશનલ તેમ જ ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, પરંતુ વન-ડેમાં રમવાનું તેમણે ચાલુ રાખ્યું છે. તેઓ ઑગસ્ટ (August)માં બાંગ્લાદેશમાં આયોજિત વન-ડે શ્રેણીમાં રમતા જોવા મળવાના હતા, પણ હવે એ પ્રવાસ ભારતીય ખેલાડીઓની અસલામતીને ધ્યાનમાં રાખીને મુલતવી રહેશે અને છેક આવતા વર્ષે યોજાશે એવી શક્યતા છે.

19મી ઑક્ટોબરે પર્થમાં ભારતીય ક્રિકેટરોના ઑસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ વન-ડે રમાશે અને એમાં રોહિત-વિરાટની ફટકાબાજી જોવા મળશે. એ પહેલાં, ટીમ ઇન્ડિયાની ટેસ્ટ અને ટી-20 સિરીઝ જ યોજાવાની છે.
ભારતીય ટીમે બાંગ્લાદેશમાં 17-31 ઑગસ્ટ દરમ્યાન વન-ડે અને ટી-20 શ્રેણી રમવાની હતી જે હવે મોકૂફ રહેશે. પીટીઆઇને બીસીસીઆઇના સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે ` ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ નહીં કરાય, મોકૂફ રખાશે અને 2026માં ક્રિકેટરોને બાંગ્લાદેશ મોકલવામાં આવશે, કારણકે એ પ્રવાસની વન-ડે મૅચો વર્લ્ડ કપના ક્વૉલિફિકેશન સાથે જોડાયેલી છે.’
બીસીસીઆઇ ઇચ્છે છે કે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ જશે અને ત્યાર પછી પરિસ્થિતિ શાંત પડશે ત્યારે જ ક્રિકેટરોને ઢાકા મોકલવામાં આવશે.
આ પણ વાંચો : શંકાસ્પદ પૅકેટ મળી આવતાં ભારતીય ક્રિકેટરોને હોટેલમાં જ રહેવાની સલાહ!