કિંગ ચાર્લ્સને મળ્યા ભારતીય ક્રિકેટર્સ: શુભમન ગિલે શેર કરી ખાસ મુલાકાતની વિગતો…

લંડનઃ ભારતની પુરુષ અને મહિલા ટીમો હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. પુરુષ ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, તો બીજી તરફ મહિલા ટીમ ત્રણ મેચની વન-ડે સીરિઝ રમી રહી છે. બંને ટીમોએ લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી હતી.
કિંગ ચાર્લ્સ તૃતીયને મળવા અંગે ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે, ‘ કિંગ ચાર્લ્સ તૃતીયને મળવું ખૂબ જ સારું રહ્યું અને તેમણે અમને ફોન કરીને ખૂબ જ ઉદારતા દર્શાવી હતી. અમારી વાતચીત ખૂબ સારી રહી હતી.
કિંગ ચાર્લ્સે અમને કહ્યું હતું કે છેલ્લી ટેસ્ટ મેચમાં અમારો છેલ્લો બેટ્સમેન જે રીતે આઉટ થયો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું, બોલ સ્ટમ્પને ટકરાયો હતો. અમે તેમને કહ્યું કે તે અમારા માટે એક કમનસીબ મેચ હતી અને તેનું પરિણામ બંન્નેમાંથી કોઇ તરફ જઈ શકે તેમ હતું. આશા છે કે આગામી બે મેચમાં અમારું નસીબ સારુ રહેશે. દરમિયાન ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ફ્રેન્ડલી સ્વભાવ ધરાવે છે.
અહીં એ જણાવવાનું કે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ 22 રનથી ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી, જેમાં ભારતીય ટીમ હાર્યા પછી પણ ટેસ્ટક્રિકેટના ચાહકોના દિલ જીતી લીધા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પણ અહીં રમાયેલી મેચ અંગે અનેક ક્રિકેટર્સે ખુશી વ્યક્ત કરી હતી.