ઓમાન જેવા ટચૂકડા દેશ સામે ભારત માંડ-માંડ જીત્યું | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025સ્પોર્ટસ

ઓમાન જેવા ટચૂકડા દેશ સામે ભારત માંડ-માંડ જીત્યું

ટીમ ઇન્ડિયાએ આઠ વિકેટ ગુમાવીને બનાવ્યા 188 રનઃ ઓમાન 4/167

દુબઈઃ વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ ચૅમ્પિયન ભારતે શુક્રવારે એશિયા કપની અંતિમ લીગ મૅચમાં ટી-20 ફૉર્મેટના 20મા નંબરના ઓમાન સામે ભારે સંઘર્ષ કર્યા બાદ જીત મેળવી હતી. સૌથી પહેલાં તો ઓમાને (Oman) ભારતની આઠ વિકેટ લીધી હતી અને પછી ઓમાનના બે બૅટ્સમેન (આમિર કલીમ તથા હમ્માદ મિર્ઝા) વચ્ચેની બીજી વિકેટ માટેની 93 રનની ભાગીદારી ભારતીય ટીમ માટે માથાનો દુખાવો થઈ ગઈ હતી.

ભારતે (India) આઠ વિકેટના ભોગે 188 રન કર્યા હતા જેના જવાબમાં ઓમાને 20 ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવી હતી અને 167 રન કર્યા હતા. હાર્દિક, અર્શદીપ, કુલદીપ અને હર્ષિતે એક-એક વિકેટ લીધી હતી. ભારત ફક્ત 21 રનથી વિજય મેળવી શક્યું હતું. પાકિસ્તાનમાં જન્મેલા આમિર કલીમ (64 રન, 46 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને ઓમાનમાં જ જન્મેલા હમ્માદ મિર્ઝા (51 રન, 33 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની જોડીએ ભારતીયોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. ઓમાનની ટીમ ભારતની આઠ વિકેટ લીધા પછી આ ટોચની ટીમ સામે ફક્ત ચાર વિકેટના ભોગે 150-પ્લસ રન કરી શકી એ બહુ મોટી વાત કહેવાય.

એ પહેલાં, ભારતે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા પછી બીજી જ ઓવરમાં શુભમન ગિલની વિકેટ ગુમાવીને મૅચની ખરાબ શરૂઆત કરી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમના દરેક પ્લેયરને બૅટિંગની તક આપી હતી અને પોતે છેક સુધી બૅટિંગમાં નહોતો આવ્યો. તેના આ નવતર પ્રયોગને અંતે ભારતીય ટીમ 188 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવી શકી હતી, પરંતુ ત્યાર પછી ઓમાને બોલિંગ પછી બૅટિંગમાં પણ ભારતીયોને જોરદાર ટક્કર આપી હતી.

ભારતે ઓમાનની અસરદાર બોલિંગ સામે જે આઠ વિકેટ ગુમાવી હતી જેમાં ગિલ, તિલક વર્મા અને શિવમ દુબેએ વિકેટ ફેંકી દીધી હતી, જ્યારે હાર્દિક રનઆઉટ થયો હતો. જોકે 200-પ્લસના ટોટલની આશા ફળીભૂત નહોતી થઈ શકી. 188 રનમાં એકમાત્ર સૅમસન (56 રન, 45 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. અભિષેકે 38 રન, છેક સાતમા સ્થાને મોકલવામાં આવેલા તિલક વર્માએ 29 રન, અક્ષરે 26 રન તેમ જ હર્ષિત રાણાએ એક છગ્ગાની મદદથી અણનમ 13 રન કર્યા હતા. ગિલ, હાર્દિક અને શિવમ દુબે સદંતર નિષ્ફળ ગયા હતા. ઓમાનના ત્રણ બોલર (કલીમ, જિતેન, ફૈઝલ)એ બે-બે વિકેટ લીધી હતી. અભિષેક-સૅમસન વચ્ચે 66 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ આઠમી ઓવરમાં ભારતે ત્રણ બૉલમાં ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક અને નંબર-વન ઑલરાઉન્ડર હાર્દિકની વિકેટ ગુમાવી હતી.

ભારતીય ટીમમાં બે ફેરફાર કરાયા હતા. જસપ્રીત બુમરાહ અને તાજેતરમાં જ વર્લ્ડ નંબર-વન બોલર બનેલા વરુણ ચક્રવર્તીના સ્થાને હર્ષિત રાણા તથા અર્શદીપ સિંહને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…અમ્પાયરને બોલ વાગતા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કરી અશોભનીય ટીપ્પણી! સોશિયલ મીડિયા પર ટીકા

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button