છેલ્લી ટી-20માં ભારતની પ્રથમ બૅટિંગ, ટીમમાં કર્યા બે ફેરફાર

હરારે: ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝાએ અહીં આજે પાંચમી અને છેલ્લી ટી-20માં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પહેલી ચારેય મૅચમાં શુભમન ગિલ ટૉસ જીત્યો હતો. ભારત 3-1થી સિરીઝ જીતી ચૂક્યું છે.
ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા છે. પેસ બોલર ખલીલ અહમદના સ્થાને ફરી મુકેશ કુમારને રમવાનો મોકો અપાયો છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ રિયાન પરાગને ફરી ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.
ઝિમ્બાબ્વેએ સતત ચાર મૅચ રમનાર પેસ બોલર ટેન્ડાઈ ચટારાના સ્થાને બ્રૅન્ડન માવુટાને મોકો આપ્યો છે.
ઓપનિંગમાં ભારત પાસે યશસ્વી જયસ્વાલ તથા કૅપ્ટન શુભમન ગિલ છે, જ્યારે વનડાઉનમાં અભિષેક શર્મા છે. શનિવારની ચોથી મૅચમાં યશસ્વીએ અણનમ 93 રન અને ગિલે અણનમ 58 રન બનાવીને ભારતને 10 વિકેટે વિજય અપાવ્યો હતો. યશસ્વીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
આ પણ વાંચો : ઝિમ્બાબ્વેએ સાત વિકેટે બનાવ્યા માત્ર 152 રન, દેશપાંડેએ ડેબ્યૂમાં પ્રાઇઝ વિકેટ લીધી
ભારત પાસે મિડલ-ઑર્ડરની બૅટિંગમાં વિકેટકીપર સંજુ સૅમસન તેમ જ રિયાન પરાગ, રિન્કુ સિંહ, શિવમ દુબે અને વૉશિંગ્ટન સુંદર છે. સ્પિન બોલિંગમાં વૉશિંગ્ટન ઉપરાંત રવિ બિશ્ર્નોઈ છે, જ્યારે પેસ બોલિંગમાં મુકેશ કુમાર, તુષાર દેશપાંડે અને દુબેનો સમાવેશ છે.
ભારતનો પ્રથમ ટી-20માં 13 રનથી પરાજય થયો હતો. બીજી ટી-20માં ભારતનો 100 રનથી, ત્રીજી ટી-20માં 23 રનથી અને ચોથી ટી-20માં 10 વિકેટે વિજય થયો હતો.