ODIમાં હાર્દિક પંડ્યાને સોંપી શકાય છે આ મોટી અને મહત્ત્વની જવાબદારી…

નવી દિલ્હીઃ રવિવારે અમદાવાદ ખાતે રમાયેલી વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતના છ વિકેટથી થયેલાં પરાજયને કારણે આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પોતાની કેપ્ટનશિપ અને ક્રિકેટ કરિયરને લઈને અમુક મહત્ત્વના નિર્યણો લઈ શકે છે, એવી અટકળો વ્યક્ત કરાઈ રહી છે. દરમિયાન એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે રોહિત બાદ ટીમ ઈન્ડિયાનું સુકાન કોણ સંભાળશે? આ સવાલનો જવાબ તમને અહીં જ મળી જશે.
ટીમ ઈન્ડિયાનો જ એક વિસ્ફોટક બેટર રોહિત શર્માની જગ્યા લેવા માટે તૈયાર છે અને આ ખેલાડી એવો છે કે જે રોહિતની ગેરહાજરીમાં વનડેમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. મળી રહેલી માહિતી પ્રમાણે 2023 વનડે વર્લ્ડકપમાં થયેલાં પરાજય બાદ 36 વર્ષીય રોહિત શર્માની જગ્યાએ કદાચ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. આ પહેલાં હાર્દિક પંડ્યા ટી-20માં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી ચુક્યો છે અને આઈપીએલમાં તેણે ગુજરાત ટાઈટન્સને પણ ચેમ્પિયનનો ખિતાબ અપાવ્યો હતો.
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં લોકોને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીની એક ઝલક દેખાય છે. એક કેપ્ટનમાં જે ક્વોલિટી હોવી જોઈએ એ બધી જ ક્વોલિટી હાર્દિકમાં જોવા મળે છે. બોલિંગમાં તો તેનો કોઈ જવાબ નથી જ પણ તે બેટિંગ પણ ખૂબ જ સારી અને સંયમપૂર્વક કરે છે. દરમિયાન હાર્દિક પંડ્યાની સરખામણી ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી કપિલ દેવ સાથે પણ કરવામાં આવે છે એટલે જો ODIમાં રોહિતના બદલે હાર્દિકને ટીમની કમાન સોંપવામાં આવશે તો તે એક સારો અને સફળ કેપ્ટન સાબિત થઈ શકે છે.
મેદાન પર સંયમથી રમવાની સાથે સાથે જ હાર્દિક ફિનિશરના તરીકે તે ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે સક્ષમ છે. જોકે, રોહિત શર્મા બાદ હાર્દિક સિવાય બીજા ચાર ખેલાડીઓ પણ ટીમ ઈન્ડિયાના વનડે કેપ્ટન બનવાની રેસમાં છે, જેમાં કેએલ રાહુલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.