ભારતીય બોલિંગ આક્રમણમાં વિવિધતાનો અભાવ ચિંતાજનક: ગ્રેગ ચેપલ…

લંડનઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર પછી ટીમના કેપ્ટનથી લઈને અન્ય ખેલાડીઓ ટીકાના ભોગ બની રહ્યા છે ત્યારે ટીમ ઈન્ડિયા અંગે ઓસ્ટ્રેલિયન બેટ્સમેને પણ મહત્વનું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ગ્રેગ ચેપલનું માનવું છે કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ખરાબ બોલિંગ આક્રમણની ભારતીય ટીમે ભારે કિંમત ચૂકવવી પડી હતી. તેમણે કુલદીપ યાદવને શેન વોર્ન પછી શ્રેષ્ઠ રિસ્ટ સ્પિનર ગણાવ્યો અને તેને અને અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવાની સલાહ આપી હતી.
પાંચ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી પરાજય થયો હતો. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં આઠ કેચ છોડ્યા હતા. ચેપલે ઈએસપીએન ક્રિકઇન્ફો’ માટે લખેલી પોતાની કોલમમાં લખ્યું હતું કે “હેડિંગ્લે ખાતે ફિલ્ડિંગ ખૂબ જ નિરાશાજનક હતી પરંતુ તે હારનું મુખ્ય કારણ નહોતું. ભારતે પોતાની સમસ્યાઓ ઉભી કરી હતી. સૌથી મોટી ભૂલ નો બોલ હતી જેણે બીજી ઇનિંગની શરૂઆતમાં હેરી બ્રુકને જીવનદાન આપ્યું હતું.”
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું હતું કે ભારતની સમસ્યા હતી કે તેના જમણા હાથના ઝડપી બોલરો મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર લગભગ એક જેવા જ હતા. તેમણે કહ્યું હતું કે, “ભારતીય બોલિંગ આક્રમણમાં વિવિધતાનો અભાવ હતો. જસપ્રીત બુમરાહ સિવાય, બાકીના ફાસ્ટ બોલરોનું પ્રદર્શન ખરાબ હતું. બોલિંગમાં ફેરફાર કર્યા પછી તરત જ વિકેટ પડવાનું કારણ એ છે કે બેટ્સમેનને એડજસ્ટ થવામાં સમય લાગે છે. પરંતુ ભારતીય ટીમ પાસે આ વિકલ્પ નહોતો.
ભારતના ભૂતપૂર્વ કોચે કહ્યું હતું કે, “બુમરાહની ગેરહાજરીમાં અર્શદીપ સિંહને ટીમમાં સ્થાન મળવું જોઈએ. આ સાથે કુલદીપ યાદવનો પણ સમાવેશ થવો જોઈએ જે શેન વોર્ન પછી શ્રેષ્ઠ રિસ્ટ સ્પિનર છે.
આપણ વાંચો : ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં રાખો, એક લાખનું ક્રાઉડ મળશેઃ રવિ શાસ્ત્રી…