ટીમ ઇન્ડિયાને ગાંગુલીની સલાહ, `આવો મોકો વારંવાર નથી મળતો’

કોલકાતાઃ ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં શુક્રવારના પહેલા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ પર વર્ચસ્વ જમાવ્યા બીજા દિવસે પોણાપાંચસોની આસપાસનો સ્કોર નોંધાવ્યો એ જોતાં ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી (SOURAV GANGULY) ભારતીય બૅટિંગ વિશે ખુશ થયો છે અને તેણે શુભમન ગિલ ઍન્ડ કંપની માટેની સલાહમાં કહ્યું છે કે તેમણે આ મૅચ કોઈ પણ ભોગે જીતવી જ જોઈએ, કારણકે આવી તક (CHANCE) વારંવાર નથી મળતી હોતી.
ભારતનો પ્રથમ દાવ 471 રન પર પૂરો થયો હતો. યશસ્વી જયસ્વાલ (101 રન), શુભમન ગિલ (147 રન) અને રિષભ પંત (134 રન)ની સેન્ચુરીએ ભારતને તોતિંગ સ્કોર અપાવ્યો હતો. જો સાઇ સુદર્શન (0) અને કરુણ નાયર (0) સદંતર ફ્લૉપ ન ગયા હોત અને સાધારણ સ્કોર પણ કર્યો હોત તો ભારતીય ટીમ 550 રન સુધી પહોંચીને પાયો વધુ મજબૂત કરી શકી હોત.
ગાંગુલીએ પીટીઆઇને જણાવ્યું હતું કે લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડની પિચ આટલી બધી સૂકી હશે એ કોઈએ પણ નહીં ધાર્યું હોય. પહેલા દિવસે ત્રણ વિકેટના ભોગે 359 રન કર્યા હતા ત્યારે જ ભારતની સ્થિતિ ખૂબ મજબૂત હતી અને એના જોરે 600 જેટલા રન થઈ શકે એમ હતા. જોકે ભારતે આ મૅચ જીતવી જ રહી.’ સ્પિનર કુલદીપ યાદવ (KULDEEP YADAV) અને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (ARSHDEEP SINGH) આ ટેસ્ટ માટેની ટીમમાં સ્થાન ન મેળવી શક્યા એ વિશે ગાંગુલીને પૂછવામાં આવતાં તેણે કહ્યું, આ લાંબી સિરીઝ છે એટલે કુલદીપને રમવા મળશે, પણ મારા મતે પ્રસિદ્ધ ક્રિષ્નાને બદલે અર્શદીપને પહેલી ટેસ્ટની ઇલેવનમાં સમાવવો જોઈતો હતો.’
આ પણ વાંચો…બાંગડની પુત્રીએ બીસીસીઆઇ અને આઇસીસીને વિનંતી કરી કે…