સ્પોર્ટસ

ગંભીરે આઈપીએલની ટીમના માલિકને કહેવડાવી દીધું, ‘ તમને મારા કામમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી’

વિશાખાપટનમ: ભારતીય ટીમ રેડ બૉલ ક્રિકેટ (ટેસ્ટ સિરીઝ)ના પતન બાદ હવે વાઈટ બૉલ ક્રિકેટ (મર્યાદિત ઓવર્સની મૅચો)માં જીતવા લાગી છે એટલે હેડ-કોચ ગૌતમ ગંભીર ફરી જોશમાં આવી ગયો છે અને તેણે આઇપીએલની એક ટીમના માલિકને તેમના તાજેતરના વિવાદાસ્પદ સૂચન બદલ મીડિયા મારફત સંભળાવી દીધું છે.

પાર્થ જિંદાલે શું ટિપ્પણી કરેલી

ગયા મહિને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ઘરઆંગણે ભારતનો 0-2થી વાઈટવૉશ થયો ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સ (DC)ના ફ્રેન્ચાઇઝીના માલિક પાર્થ જિંદાલે સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં બીસીસીઆઈને સંબોધીને સૂચન કર્યું હતું કે ‘ ટેસ્ટ ટીમ માટે સ્પેશ્યાલિસ્ટ રેડ બૉલ કોચ નીમવાનો સમય હવે આવી ગયો છે.’

ગૌતમ ગંભીર (GAUTAM GAMBHIR) ટેસ્ટ, વન-ડે, તેમ જ ટી-20 ત્રણેય ફોર્મેટની ટીમ માટેનો હેડ-કોચ છે.

ભારતે સાટું વાળી લીધું

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ (TEST)માં ભારતનો 0-2થી સફાયો થયો ત્યાર બાદ શનિવારે ભારતે વન-ડે શ્રેણીમાં તેમને 2-1થી હરાવીને બદલો લઈ લીધો હતો. ગયા મહિને કોલકાતાની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમ 124 રનનો નાનો લક્ષ્યાંક પણ નહોતી મેળવી શકી અને હારી ગઈ હતી. ગુવાહાટીની બીજી ટેસ્ટમાં ભારતનો 408 રનથી રકાસ થયો હતો.

ગિલની ઓચિંતી બાદબાકી થયેલી

ખાસ કરીને પહેલી ટેસ્ટની હાર બાદ ગૌતમ ગંભીરના કોચિંગ સામે સવાલ કરવામાં આવ્યા હતા. જોકે એ ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલ ત્રણ રનના તેના સ્કોર વખતે ગરદનના ઓચિંતા દુખાવાને કારણે બૅટિંગ છોડીને પૅવિલિયનમાં જતો રહ્યો હતો અને આખી મૅચમાં ફરી બેટિંગ નહોતો કરી શક્યો.

ગંભીરે પત્રકારોને શું કહ્યું

ગૌતમ ગંભીરે શનિવારની પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોને કહ્યું હતું કે ‘ ટેસ્ટ સિરીઝનું પરિણામ ભારત માટે બહુ ખરાબ હતું એમાં હું બેમત નથી, પરંતુ કોઈ અખબાર કે મૅગેઝિને એવું નથી લખ્યું કે એ મૅચના બંને દાવમાં ઇન્ફોર્મ બૅટ્સમૅન અને કેપ્ટન શુભમન ગિલ બૅટિંગ નહોતો કરી શક્યો એટલે હારી ગયા. હાર બદલ હું ક્યારેય પત્રકાર પરિષદમાં બહાના નથી કાઢતો, પણ એનો અર્થ એવો પણ નથી કે હકીકત દેશ સમક્ષ કે વિશ્વ સમક્ષ ન લાવવી. ટીમનો પરિવર્તનકાળ ચાલી રહ્યો હોય અને એમાં સિરીઝની શરૂઆતમાં જ વર્લ્ડ ચેમ્પિયન ટીમ સામે પોતાનો કેપ્ટન (ગિલ) ગુમાવવો પડે અને એવો કેપ્ટન કે જેણે પાછલી સાત મૅચમાં 1,000 રન કર્યા હોય તો ટીમના હિતમાં ન હોય એવું પરિણામ આવવાનું જ. જે લોકોને ક્રિકેટ સાથે કંઈ લેવા દેવા નથી એવા લોકો કોચ બદલવાની વાતો કરે છે. આવા લોકો પોતાના જ કામ પૂરતા સીમિત રહે તો સારું. અમે કોઈની વાતમાં દખલગીરી કરતા નથી એટલે આવા લોકોને પણ અમારી વાતમાં બોલવાનો કોઈ અધિકાર નથી.’

આપણ વાંચો:  કિંગ કોહલીનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ; આ મામલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button