લંચ સુધીમાં ઇંગ્લૅન્ડના પચીસ ઓવરમાં બે વિકેટે માત્ર 83 રન…

લંડનઃ અહીં લૉર્ડ્સ (LORD’S)ના ઐતિહાસિક મેદાન પર ભારત સામેની પાંચ મૅચવાળી સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી, પરંતુ ભારતીય પેસ બોલર્સના એકધારા આક્રમણને કારણે યજમાન ટીમ પ્રથમ બે કલાકમાં પચીસ ઓવરમાં માત્ર 83 રન બનાવી શકી અને એમાં એણે બન્ને ઓપનરની વિકેટ ગુમાવી હતી.
43 રનના કુલ સ્કોર સુધીમાં ઇંગ્લૅન્ડે એકેય વિકેટ નહોતી ગુમાવી, પણ શુભમન ગિલે બન્ને સ્પિનર (રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર)ની પહેલાં પેસ બોલર નીતીશ કુમાર રેડ્ડી (Nitish Reddy)ને મોરચા પર લાવવાનો સમજદારીભર્યો નિર્ણય લીધો હતે અને નીતીશે કૅપ્ટનનો વિશ્વાસ સાચો ઠરાવ્યો હતો. નીતીશે એક ઓવરમાં (ચાર બૉલમાં) ઓપનર બેન ડકેટ (23 રન) અને બીજા ઓપનર ઝૅક ક્રૉવ્લી (18 રન)ની વિકેટ લીધી હતી.
બંને ઓપનર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ થયા હતા.એ પહેલાં, ટૉસ વખતે જાણવા મળ્યા મુજબ બન્ને ટીમમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. ધાર્યા પ્રમાણે જસપ્રીત બુમરાહે ટીમમાં કમબૅક કર્યું છે અને તેને ઇલેવનમાં સમાવવા પ્રસિદ્ધ ક્રિષ્નાને પડતો મૂકવામાં આવ્યો છે. જોફ્રા આર્ચરને ઇંગ્લૅન્ડે જૉશ ટન્ગના સ્થાને રમવાનો મોકો આપ્યો છે. જોફ્રાએ સાડાચાર વર્ષે ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યું છે.
લંચના બ્રેક (lunch break) વખતે જૉ રૂટ 24 રને અને ઑલી પૉપ 12 રને રમી રહ્યા હતા. પાંચ મૅચની શ્રેણી 1-1ની બરાબરીમાં છે. નીતીશ કુમાર 15 રનમાં બે વિકેટ લઈને લંચના બ્રેક પહેલાં છવાઈ ગયો હતો.