ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર કહે છે, ઇંગ્લૅન્ડના ટેસ્ટ-પ્રવાસમાં આ ત્રણ ખેલાડીઓને મોકલજો જ

નવી દિલ્હીઃ પચીસમી મેએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આઇપીએલની ફાઇનલ રમાઈ જશે ત્યાર પછી કેટલાક ભારતીય ખેલાડીઓ ઇંગ્લૅન્ડ (ENGLAND) ખાતેના ટેસ્ટ-પ્રવાસ (TEST TOUR) માટેની તૈયારીમાં વ્યસ્ત થઈ જશે અને એ ટૂરને લક્ષમાં રાખીને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે (MSK PRASAD) ત્રણ એવા ખેલાડીના નામ સૂચવ્યા છે જેમને સિલેક્ટરો અવગણી શકે એમ નથી.
અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્શન કમિટીની થોડા દિવસમાં બેઠક યોજાશે જેમાં ઇંગ્લૅન્ડમાં રમાનારી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ માટેની ટીમ નક્કી કરવામાં આવશે. ભારત-ઇંગ્લૅન્ડની ટેસ્ટ શ્રેણી 20મી જૂને શરૂ થશે.
આપણ વાંચો: મોહમ્મદ શમી `પરીક્ષા’માં પાસઃ ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવશે?
ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન એમએસકે પ્રસાદ 2016થી 2020 સુધી ચીફ સિલેક્ટર હતા. તેમણે પીટીઆઇને કહ્યું છે કે `ઇંગ્લૅન્ડમાં રમાનારી ટેસ્ટ સિરીઝ માટેની ભારતીય ટીમમાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ અને ઓપનિંગ બૅટ્સમૅન સાઇ સુદર્શન તો હોવા જ જોઈએ.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની નવી સીઝન શરૂ થઈ રહી છે અને એ માટેના સેટ-અપમાં સુદર્શન હોવો જરૂરી છે. રોહિત સાથે યશસ્વી દાવની શરૂઆત કરશે તો બૅક-અપ ઓપનર તરીકે સુદર્શનને ટીમમાં સમાવવો જોઈએ. ગિલ અને રાહુલ તમામ ફૉર્મેટ માટેના બૅટ્સમેન છે એટલે તેઓ ટીમમાં હોવા જોઈએ, પરંતુ હું શ્રેયસ ઐયરનું નામ નહીં સૂચવું. હા, સ્પિનર્સમાં જાડેજા, કુલદીપ અને વૉશિંગ્ટન હોવા જરૂરી છે. જોકે હું અક્ષર પટેલને પસંદ કરવાનું નહીં સૂચવું.’