સ્પોર્ટસ

દિગ્ગજ ક્રિકેટરે પ્રિય સીએસકેને કરી ગુડબાય, કેકેઆર સાથે મિલાવ્યા હાથ!

કોલકાતા: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી અને આઈપીએલના એક સમયના નંબર-વન ઑલરાઉન્ડર ડવેઇન બ્રાવોએ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સાથેના વર્ષો જૂના સંબંધોનો અંત લાવી દીધો છે. તે હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ની ટીમનો મેન્ટર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર તાજેતરમાં જ કેકેઆરને ગુડ બાય કરીને ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બન્યો છે.

સીએસકેને પાંચમાંથી ચાર ટાઈટલ અપાવવામાં બ્રાવોનું કોઈને કોઈ રીતે મહત્વનું યોગદાન હતું.
બ્રાવોએ 2025ની સીઝનથી કેકેઆરના મેન્ટર બનવા માટેના લાંબા સમયના કરાર કર્યાં હોવાનું જાણવા મળ્યું છે.

વધુ મહત્વની વાત એ છે કે 41 વર્ષીય બ્રાવોએ કેકેઆરના બૅનર હેઠળ આવતા તમામ ફ્રેન્ચાઇઝીના મેન્ટર તરીકેની જવાબદારી સ્વીકારી છે. એમાં આઇપીએલના કેકેઆર ઉપરાંત લૉસ એન્જલસ નાઈટ રાઈડર્સ, અબુ ધાબી નાઈટ રાઈડર્સ અને ટ્રિન્બેગો નાઈટ રાઈડર્સનો સમાવેશ છે.

બ્રાવોની ગણના આઈપીએલના ટોચના ટાઇટલ વિનર્સમાં થાય છે તેમ જ તેને ક્રિકેટનું ઊંડું જ્ઞાન હોવા ઉપરાંત ક્રિકેટનો બહોળો અનુભવ પણ છે. આ બધા કારણોસર કેકેઆરના માલિકોએ તેની સાથે લાંબા સમયના કરાર કર્યા છે.

ગૌતમ ગંભીરે કેકેઆર છોડ્યું એ સાથે તેના બે સહાયક કોચ અભિષેક નાયર અને રાયન ટેન ડૉચેટે પણ કેકેઆરને ગુડબાય કરી અને ટીમ ઇન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં જોડાયા છે. કેકેઆરના મૅનેજમેન્ટમાં આટલા મોટા ગાબડાં પડવાને કારણે બ્રાવો જેવા દિગ્ગજને મેન્ટર બનાવવામાં આવ્યો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button