સ્પોર્ટસ

સમરસૉલ્ટની સ્ટાઇલમાં સેન્ચુરી સેલિબ્રેટ કરવાની રિષભ પંતની આદત વિશે તેના ડોક્ટરે કહ્યું છે કે…

મુંબઈઃ ડિસેમ્બર, 2022માં વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (Rishabh Pant)ને ગંભીર કાર-અકસ્માત નડ્યો ત્યાર બાદ તેનો જાન બચી ગયા પછી તેના ઘૂંટણની સફળ સર્જરી કરીને તેને ક્રિકેટ-કરીઅર સજીવન કરાવી આપવામાં મોટી ભૂમિકા ભજવનાર મુંબઈના જાણીતા ઑર્થોપેડિક સર્જન ડૉ. દિનશા પારડીવાલા (Dr. Dinshaw Pardiwala)નું માનવું છે કે સેન્ચુરી પછીનું પંતનું સમરસૉલ્ટ (SOMERSAULT) સેલિબ્રેશન પરફેક્ટ હોય છે, પણ એવું કરવાની કંઈ જ જરૂર નથી.

પંત ડિસેમ્બર, 2022માં લક્ઝરી કારમાં રુડકી શહેરમાં તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને તેને શરીરમાં અનેક જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી. તેને કેટલાક અજાણ્યા લોકો તેને દહેરાદૂનની હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને પછી થોડા દિવસ બાદ વિમાન મારફત પંતને મુંબઈ લાવવામાં આવ્યો હતો જ્યાં અંધેરી (પશ્ચિમ)માં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ડૉ. પારડીવાલાએ તેના જમણા ઘૂંટણમાં ઑપરેશન કર્યું હતું.

આ પણ વાંચો: તો શું રિષભ પંત ટીમ ઇન્ડિયા માટે અનલકી સાબિત થયો?

પંત લગભગ સવા વર્ષ સુધી ક્રિકેટ નહોતો રમી શક્યો. 2024ની આઇપીએલથી તે ફરી રમવા આવ્યો હતો. તાજેતરમાં તેણે ઇંગ્લૅન્ડ સામેની એક જ ટેસ્ટમાં બે સેન્ચુરી ફટકારી જે ભારતના વિકેટકીપરોમાં નવો વિક્રમ છે.

પંતે 2025ની આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ વતી સેન્ચુરી બાદ સમરસૉલ્ટની સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું ત્યાર બાદ તાજેતરમાં લીડ્સમાં ટેસ્ટની પ્રથમ સદી પછી પણ સમરસૉલ્ટ સેલિબ્રેશનથી સૌને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચો: બન્ને ઇનિંગ્સના સેન્ચુરિયન રિષભ પંતને શા માટે ઠપકો મળ્યો?

ડૉ. પારડીવાલાએ એક જાણીતા અંગ્રેજી દૈનિકને જણાવ્યું છે કે રિષભે જિમ્નૅસ્ટ તરીકેની તાલીમ લીધી છે. તે ખૂબ જ સ્ફૂર્તિલો છે અને તેનામાં ઍથ્લીટ જેવી ચપળતા છે એટલે જ થોડા સમયથી તે સમરસૉલ્ટની સ્ટાઇલમાં સેલિબ્રેશન કરતો જોવા મળી રહ્યો છે. તેના મૂવ પરફેક્ટ હોય છે, પણ મને નથી લાગતું કે તેણે આવું બધુ કરવાની કોઈ જરૂર છે.’ ડૉ. પારડીવાલાએ એવું પણ જણાવ્યું હતું કે રિષભ એ પણ સારી રીતે જાણે છે કે નસીબથી તે જીવતો છે. આવા ગંભીર અકસ્માતમાં બચી જવું એ બહુ મોટી વાત કહેવાય. તે ખૂબ લકી છે. તેની કાર ઊલટી થઈ ગઈ હતી અને આગમાં લપેટાઈ ગઈ હતી. આવા કિસ્સામાં મૃત્યુ થવાની વધુ સંભાવના હોય છે, પરંતુ નસીબજોગે રિષભ બચી ગયો હતો. જેમ કોઈ પણ વ્યક્તિ મોતના મુખમાંથી પાછી આવે ત્યારે જીવન પ્રત્યેનો તેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય એવું રિષભની બાબતમાં પણ બન્યું છે. તે જીવનને હવે વધુ સારી રીતે જુએ છે અને અગાઉ કરતાં વધુ સારી રીતે માણે છે. તેના અભિગમમાં અગાઉ કરતાં વધુ ફિલસૂફી જોવા મળી રહી છે એવું તેની નજીકના કેટલાક લોકોનું માનવું છે. ક્રિકેટર તરીકે પણ તે અગાઉ કરતાં વધુ મૉટિવેટેડ છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button