સ્પોર્ટસ

બીસીસીઆઇને ફટકો, કોચી ટસ્કર્સને આટલા કરોડ રૂપિયા ચૂકવવા મુંબઈ હાઈ કોર્ટનો આદેશ

મુંબઈઃ બૉમ્બે હાઈ કોર્ટે આર્બિટ્રેટરનો અહેવાલ માન્ય રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ફ્રૅન્ચાઇઝી કોચી ટસ્કર્સ કેરલાને 538 કરોડ રૂપિયા ચૂકવવાનો બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ને આદેશ આપ્યો છે.

બીસીસીઆઇએ 1,550 કરોડ રૂપિયામાં ખરીદેલા કોચી ટસ્કર્સ (KOCHI TUSKERS) ફ્રૅન્ચાઇઝી સાથેનો કરાર 2011માં રદ કર્યો હતો. આ ફ્રૅન્ચાઇઝીને 538 કરોડ ચૂકવવાના આર્બિટ્રેટરની ટ્રિબ્યૂનલના ફેંસલાને બીસીસીઆઇએ પડકાર્યો હતો, પરંતુ અદાલતે બીસીસીઆઇની પિટિશનો ફગાવી દીધી છે.

આ પણ વાંચો: જુનિયર ક્રિકેટને લઇને બીસીસીઆઇનો મોટો નિર્ણય, આ ટેસ્ટ કરાવવો પડશે

મંગળવારે જસ્ટિસ આર. ચાગલાએ જે આદેશ બહાર પાડ્યો એમાં જણાવ્યું હતું કે ` આર્બિટ્રેટર દ્વારા જે ફેંસલો આપવામાં આવ્યો એમાં અમને પૅટન્ટને લગતી કોઈ જ ગેરકાયદેસરતા નથી જોવા મળી અને આમાં અદાલતે હસ્તક્ષેપ કરવો જોઈએ એવી પણ કોઈ જરૂર અમને નથી લાગી.’

આવું જણાવીને ન્યાયાધીશે કોચી ટસ્કર્સના ફ્રૅન્ચાઇઝીને 538 કરોડ રૂપિયા ચૂકવવાનો બીસીસીઆઇને આદેશ આપ્યો હતો.
બીસીસીઆઇએ 2011માં કોચી ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ (કેસીપીએલ) તથા રાંદેવૂ સ્પોર્ટ્સ વર્લ્ડ (આરએસડબ્લ્યૂ)ની આગેવાની હેઠળના જૂથને ફ્રૅન્ચાઇઝીનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો, પરંતુ બીજા જ વર્ષે કૉન્ટ્રૅક્ટ રદ કર્યો હતો. બીસીસીઆઇએ એવું કારણ આપીને કરાર રદ કર્યો હતો કે કેસીપીએલ તથા આરએસડબ્લ્યૂ સમયસર જરૂરી બૅન્ક ગૅરન્ટી પૂરી પાડવામાં કથિત રીતે નિષ્ફળ ગયા છે. જોકે 2012માં કેસીપીએલ તથા આરએસડબ્લ્યૂએ કરાર રદ કરવાના પગલાંને ખોટો ગણાવ્યો હતો. 2015માં આર્બિટ્રલ ટ્રિબ્યૂનલે કોચીના ફ્રૅન્ચાઇઝીની તરફેણમાં ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે બીસીસીઆઇ દ્વારા વ્યાજ તથા ખર્ચ સહિત કેસીપીએલને 384.8 કરોડ રૂપિયા અને આરએસડબ્લ્યૂને 153.3 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button