અરે વાહ! જસપ્રીત બુમરાહ દુબઈમાં…જાણો શા માટે….

દુબઈઃ ભારતનો નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી રમી રહ્યો, પણ આજે તે દુબઈમાં તો હતો જ.
તમને નવાઈ લાગી હશે કે પીઠની ઈજાને કારણે બુમરાહ આ સ્પર્ધાની બહાર થઈ ગયો છે તો પછી દુબઈ શા માટે પહોંચી ગયો.
તે આઇસીસી દ્વારા આયોજિત એક સમારોહમાં હતો તેમ જ દુબઈના સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓને મળ્યો હતો અને તેનો ઉત્સાહ વધાર્યો હતો.
આપણ વાંચો: IND vs ENG: જસપ્રીત બુમરાહ પહેલી બે ODI નહીં રમે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સાજો થઇ જશે?
વાત એવી છે કે બુમરાહ આઇસીસીએ તેના માટે તાજેતરમાં જાહેર કરેલા પુરસ્કારો સ્વીકારવા માટે દુબઈમાં હતો.
31 વર્ષના ટેસ્ટ જગતના નંબર-વન બોલરને આઇસીસીએ મેન્સ ક્રિકેટર ઑફ ધ યર તથા મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર સહિત કુલ ચાર પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. બીજા બે અવૉર્ડમાં મેન્સ ટેસ્ટ ટીમ ઑફ ધ યર અને મેન્સ ટી-20 ટીમ ઑફ ધ યરનો સમાવેશ હતો.
આઇસીસીએ `એક્સ’ પર બુમરાહની પુરસ્કારથી નવાજેશ કરી એને લગતા ફોટોગ્રાફ પોસ્ટ કર્યા હતા.
ગયા વર્ષે બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં જબરદસ્ત પર્ફોર્મ કર્યું હતું. તેણે 13 મૅચમાં 71 વિકેટ લીધી હતી. તેના પછીના બીજા ક્રમના બોલરની તેનાથી ઘણી ઓછી એટલે કે બાવન વિકેટ હતી. એ બાવન વિકેટ ઇંગ્લૅન્ડના ગસ ઍટક્નિસનના નામે છે જે તેણે 11 મૅચમાં લીધી હતી.