આઇપીએલની ટીમોમાં થઈ શકે મોટી ઊલટફેર: પંત, રોહિત, સૂર્યા, રાહુલને લઈને સનસનાટીભરી અટકળો | મુંબઈ સમાચાર

આઇપીએલની ટીમોમાં થઈ શકે મોટી ઊલટફેર: પંત, રોહિત, સૂર્યા, રાહુલને લઈને સનસનાટીભરી અટકળો

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 2025ની સીઝન પહેલાં મોટા પાયે ખેલાડીઓની હરાજીની ઇવેન્ટ યોજાવાની છે અને એમાં મોટી ઊલટફેર જોવા મળશે એવી પાકી સંભાવના છે.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 2024માં છેક 10મા નંબરે રહી એ પહેલાં એના કૅપ્ટનપદેથી રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને નિયુક્ત કરાયો હતો.

એવું મનાય છે કે કેટલીક ટીમોના ડ્રેસિંગ-રૂમમાં ખેલાડીઓ વચ્ચે મતભેદો છે અને કેટલીક ટીમના પ્લેયરોની માલિકો સાથે ખટપટ થઈ છે.
કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્મા આ ટીમ છોડી દેશે. તેની સાથે સૂર્યકુમાર યાદવ પણ એમઆઇ છોડી દેશે એવી પણ અટકળ હતી. જોકે કેટલીક વાતો એવી હતી કે હવે પછીની સીઝનમાં સૂર્યકુમાર યાદવને એમઆઇનો કૅપ્ટન બનાવાશે, કારણકે હાર્દિકના સુકાનમાં આ ટીમ છેક તળિયે રહી હતી.

બીજા એક અહેવાલ મુજબ દિલ્હી કૅપિટલ્સના માલિકો રિષભ પંતથી ખુશ નથી એ જોતાં ઑક્શનમાં ચેન્નઈની ટીમના માલિકો પંતને મેળવવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને જો એમએસ ધોની 2025ની સીઝનથી ન રમે તો પંતને સુકાન સોંપી શકાય.
અન્ય એક રિપોર્ટ મુજબ કેએલ રાહુલ લખનઊ સુપર જાયન્ટ્સના માલિક ગોયેન્કાથી નારાજ છે એટલે તે કદાચ બેન્ગલોરની ટીમમાં જવાનું પસંદ કરશે અને એ ટીમના માલિકો તેને કદાચ કૅપ્ટન બનાવશે.

સંબંધિત લેખો

Back to top button