‘જુનિયર્સને કાબુમાં રાખવાની જરૂર’ BCCI ની સમીક્ષા બેઠકમાં લેવાયા કડક નિર્ણયો…

મુંબઈ: ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના નિરાશાજનક પ્રદર્શનને કારણે ચાહકો નારાજ છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) હવે ટીમનું પ્રદર્શન સુધારવા માટે કડક પગલા ભરવા જઈ રહ્યું છે. 11 જાન્યુઆરીના રોજ મુંબઈમાં યોજાયેલી એક સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં (BCCI Review meeting) આવ્યા હતાં.
આ પણ વાંચો : બીસીસીઆઇની મીટિંગમાં સનસનાટીભર્યા ખુલાસા, ક્રિકેટરો માટે બનાવાયા સખત નિયમો
સમીક્ષા બેઠક દરમિયાન થયેલી કેટલીક ચર્ચાઓ મીડિયામાં લીક થઇ ગઈ છે. અહેવાલ મુજબ આ બેઠકમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બે ખેલાડીઓ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગૌતમ ગંભીર ખેલાડીઓથી નારાજ:
અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓની અનુશાસનહીનતાથી હેડ કોચ ગૌતમ ગંભીર રોષે ભરાયા છે, તેમણે બેઠકમાં હાજર BCCIના અધિકારીઓ સમક્ષ આ અંગે ફરિયાદ કરી હતી. સમીક્ષા બેઠકમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રવાસ અંગેના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
પરિવાર સાથે રહેવા પર મર્યાદા:
અહેવાલ મુજબ બેઠકમાં વિદેશી પ્રવાસ દરમિયાન ખેલાડીઓના પત્ની અને પરિવારના સભ્યો સાથે રહેવાના સમયગાળા માટે રહેવા અંગે ચર્ચા થઈ. હવે થી કોઈપણ વિદેશ પ્રવાસ દરમિયાન પરિવાર વધુમાં વધુ બે અઠવાડિયા ખેલાડીઓ સાથે રહી શકે છે. ગૌતમ ગંભીર ઉપરાંત, ખેલાડીઓનો પણ આ મુદ્દા પર આ જ અભિપ્રાય હતો.
જુનિયર્સ સામે કડકાઈ:
સમીક્ષા બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જુનિયર ક્રિકેટરો સાથે કડક વર્તન કરવાની જરૂર છે.
મેચ ફી તરત નહીં આપવામાં આવે:
આ બેઠક દરમિયાન, એક સિનિયર ખેલાડીએ BCCI ને સૂચન કર્યું કે ખેલાડીઓની મેચ ફી તાત્કાલિક ચૂકવવી જોઈએ નહીં કારણ કે ખેલાડીઓ ડોમેસ્ટિક અને રાષ્ટ્રીય ટીમોને પ્રાથમિકતા આપી રહ્યા નથી. એવું પણ સૂચન આપવામાં આવ્યું કે ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ફી આપવી જોઈએ. જોકે, આ સિનિયર ખેલાડી કોણ છે તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો : ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાતમાં આટલો બધો વિલંબ શા માટે? નવજોત સિદ્ધુનો બીસીસીઆઇને અણિયાળો સવાલ…
બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે ઓસ્ટ્રેલિયાના દોઢ મહિનાના લાંબા પ્રવાસ દરમિયાન ફક્ત એક જ ટીમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલકાતામાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ પહેલા ગૌતમ ગંભીર અને બીસીસીઆઈ વચ્ચે વધુ બેઠક થઈ શકે છે.