ગંભીર પાસેથી કોચિંગનો હોદ્દો પાછો લઈ લેવાશે? બીસીસીઆઇમાંથી વધુ એક ખુલાસો પણ આવી ગયો…

નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષમાં ભારતીય ક્રિકેટરોનો ટેસ્ટમાં પર્ફોર્મન્સ બહુ ખરાબ રહ્યો હોવાથી હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) પાસેથી ટેસ્ટ-ટીમના કોચિંગ (Coaching)ની જવાબદારી પાછી લઈ લેવામાં આવશે એવી થોડા દિવસથી જે અફવા ઊડી છે એને બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સૈકિયાએ ખોટી ગણાવી ત્યાર પછી હવે ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ પણ આ વિષયમાં સ્પષ્ટતા કરી દીધી છે.
શુક્લા (Shukla)એ કહ્યું છે કે ગૌતમ ગંભીરને હેડ-કોચના પદ પરથી નહીં હટાવાય. તેમણે એક જાણીતી સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે ` ગંભીરને ટેસ્ટ ટીમના કોચના હોદ્દા પરથી હટાવવામાં આવશે એવી મીડિયામાં જે અફવા ફેલાઈ છે એના પર હું સ્પષ્ટતા કરી દેવા માગું છું કે ગંભીરને આ પદ પરથી નહીં હટાવાય.’

સૈકિયાએ બે દિવસ પહેલાં કહ્યું હતું કે ગંભીરને ટેસ્ટ ટીમના કોચના સ્થાનેથી હટાવીને અન્ય કોઈને એ જવાબદારી સોંપવાની બીસીસીઆઇની કોઈ યોજના નથી.’
હાલમાં તો ટીમ ઇન્ડિયા મિશ્ર દેખાવ સાથે આગળ વધી રહી છે. ટેસ્ટમાં પર્ફોર્મન્સ સારો નથી, પણ ટી-20 તથા વન-ડેમાં ખેલાડીઓ સારું રમી રહ્યા છે અને હવે સૌની નજર 11મી જાન્યુઆરીએ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી વન-ડે સિરીઝ પર છે. ફેબ્રુઆરીમાં ઘરઆંગણે ટી-20નો વર્લ્ડ કપ રમાવાનો છે.
આ પણ વાંચો…કપિલ દેવની ચર્ચાસ્પદ ટિપ્પણી,` ગૌતમ ગંભીર કોચ નહીં, પણ મૅનેજર કહેવાય’



