10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે એશિયા કપઃ યુએઇમાં યોજાવવાની સંભાવના

નવી દિલ્હીઃ એશિયા કપ અંગે લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો હવે અંત આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે મુશ્કેલીમાં મુકાયેલી આ ટુર્નામેન્ટના આયોજન અંગે હવે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે.
હાલમાં અત્યાર સુધી ટુનામેન્ટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવા સંકેતો મળી રહ્યા છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ આવતા અઠવાડિયે ઔપચારિક નિર્ણય લઈ શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, એશિયા કપ 2025નો કાર્યક્રમ જૂલાઈના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની ધારણા છે.
રિપોર્ટ અનુસાર, ટી-20 ફોર્મેટમાં યોજાનારી ટુર્નામેન્ટ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા એટલે કે 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. આ વખતે પણ છ ટીમો – ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને યુએઇ ભાગ લેશે.
આ પણ વાંચો: ભારત એશિયા કપ નહીં રમે: BCCIના નિર્ણયથી ACC સામે મોટું સંકટ
ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે રેસમાં યુએઇ સૌથી આગળ છે. જો કે, એક હાઇબ્રિડ મોડલની પણ ચર્ચા થઈ રહી છે, જેમાં કેટલીક મેચો વિવિધ દેશોમાં રમાડવામાં આવી શકે છે. આ વખતે ભારતને યજમાન દેશ જાહેર કરવામાં આવ્યો છે.
આમ છતાં એસીસીએ પહેલાથી જ નક્કી કરી લીધું છે કે જ્યારે ભારત અથવા પાકિસ્તાનને યજમાનપદ મળશે, ત્યારે ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે, જેથી રાજકીય પરિસ્થિતિઓ પ્રભાવિત ન થાય.
નોંધનીય છે કે તાજેતરમાં આઇસીસી એ બે મોટી મહિલા ટુર્નામેન્ટ મહિલા વન-ડે વર્લ્ડ કપ (ભારત અને શ્રીલંકામાં) અને મહિલા ટી-20 વર્લ્ડ કપ (ઇંગ્લેન્ડમાં)નો કાર્યક્રમ જાહેર કરાયો હતો. આ બંનેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. 5 ઓક્ટોબરે કોલંબોમાં અને બીજી 14 જૂને એજબેસ્ટન, ઇંગ્લેન્ડમાં રમાશે.