અશ્વિનને અમ્પાયર સામે ગુસ્સો કરવાનું, બૅટ પછાડવાનું મોંઘુ પડ્યું, જાણો કેવી રીતે…

કોઈમ્બતુર: ક્રિકેટ જગતના સ્પિન-લેજન્ડસમાં ગણાતો રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તો છોડી ચૂક્યો છે, પરંતુ ટી-20 લીગ ટૂર્નામેન્ટમાં રમવાનું તેણે ચાલુ રાખ્યું છે અને બે દિવસ પહેલાંનો તેનો એક કિસ્સો ચર્ચાસ્પદ થયો છે.
તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)ની એક મૅચમાં અશ્વિને (R. ASHWIN) અમ્પાયર પર બળાપો ઠાલવ્યો તેમ જ બૅટ પછાડ્યું એ બદલ અશ્વિનની કુલ 30 ટકા મૅચ ફી (MATCH FEE) કાપી લેવામાં આવી છે. કોઈમ્બતુરમાં ડિંડીગુલ ડ્રેગન્સ અને તિરૂપ્પુર તમિઝાન્સ વચ્ચેની મૅચમાં એક કિસ્સો બન્યો હતો જેમાં અશ્વિને મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
અશ્વિન ડિંડીગુલ ડ્રેગન્સ (DINDIGUL DRAGONS) ટીમનો કેપ્ટન છે. હરીફ ટીમના સ્પિનર આર. સાંઈ કિશોરના બૉલમાં એલબીડબલ્યૂની અપીલ થઈ અને મહિલા અમ્પાયર કૃતિકા (Kritika)એ અશ્વિનને આઉટ જાહેર કર્યો હતો. અશ્વિનની ટીમ પાસે એક પણ રીવ્યૂ બાકી ન હોવાથી અશ્વિને પાછા જવું પડ્યું હતું. જોકે સાંઈ કિશોરનો બૉલ લેગ સ્ટમ્પની બહાર પડ્યો હતો અને એ જો અશ્વિનને ન લાગ્યો હોત તો સ્ટમ્સની બહારથી પસાર થઈ ગયો હોત એવું લાગતા અશ્વિને મહિલા અમ્પાયર સામે ખૂબ દલીલ કરી હતી. અશ્વિને પાછા જતી વખતે ગુસ્સામાં બૅટ પોતાના પૅડ પર ફટકાર્યું હતું તેમ જ ગ્લવ્ઝ હવામાં ફેંક્યા હતા.
અશ્વિને 11 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી 18 રન કર્યા હતા. અશ્વિની વિકેટ વખતે તેની ટીમનો સ્કોર એક વિકેટે 39 રન હતો અને પછીના 54 રનમાં અશ્વિનની ટીમે બાકીની તમામ નવ વિકેટ ગુમાવી દીધી હતી.
તિરૂપ્પુર ટીમે 94 રનનો લક્ષ્યાંક આસાનીથી (ફક્ત એક વિકેટ ગુમાવીને 49 બૉલમાં) હાંસલ કરીને વિજય મેળવ્યો હતો. તામિલનાડુ લીગની આ નવમી સીઝન છે અને એમાં અશ્વિનની ટીમ બેમાંથી એક મૅચ જીતીને પાંચમા નંબર પર છે.
આપણ વાંચો : શું અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ સામે મૅચ-ફિક્સિંગનો આક્ષેપ કર્યો હતો?: જોકે સત્ય કંઈક જૂદું જ છે