સચિને PM મોદીને અર્જુન તેંડુલકરના લગ્નમાં આમંત્રણ આપ્યું; પરિવાર સમેત લીધી મુલાકાત…

મુંબઈ: ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના ઘરે ટૂંક સમયમાં રૂડા અવસરની ઉજવણી થવા જઈ રહી છે. સચિનના પુત્ર અર્જુન તેંડુલકર ખૂબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ઓગસ્ટ 2025માં એક ખાનગી સમારોહમાં સગાઈ કર્યા બાદ હવે આ જોડી લગ્ન માટે તૈયાર છે. આ આનંદના અવસરે સચિન તેંડુલકરે સમગ્ર પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને તેમને લગ્નનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં સચિન સાથે પત્ની અંજલિ, પુત્રી સારા, પુત્ર અર્જુન અને તેની ભાવિ પત્ની સાનિયા ચંડોક જોવા મળી રહ્યા છે. સચિને આ મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને લગ્નનું આમંત્રણ આપવું એ અમારા માટે સૌભાગ્યની વાત છે. તેમણે યુવા જોડીને આપેલા આશીર્વાદ અને માર્ગદર્શન માટે વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો. આ મુલાકાત દરમિયાન તેંડુલકર પરિવાર ખૂબ જ ઉત્સાહિત જણાતો હતો.
જાણો ક્યારે છે લગ્ન?
મીડિયા અહેવાલો મુજબ, અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્ન 5 માર્ચ 2026ના રોજ મુંબઈમાં યોજાવાના છે. લગ્ન પૂર્વેની વિધિઓ ૩ માર્ચથી જ શરૂ થઈ જશે. સાનિયા ચંડોક વિશે વાત કરીએ તો, તે એક સફળ આંત્રપ્રિન્યોર છે અને મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી છે. તે પોતે એક પેટ કેર બ્રાન્ડ ચલાવે છે. સાનિયા લાંબા સમયથી તેંડુલકર પરિવારની નજીક રહી છે અને હવે તે આ પરિવારની પુત્રવધૂ બનવા જઈ રહી છે.
આ પણ વાંચો…આ વર્ષે અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોક કરશે લગ્ન: જાણો ક્યાં યોજાશે ભવ્ય સમારોહ
વ્યક્તિગત જીવનની સાથે સાથે અર્જુન તેંડુલકરના ક્રિકેટિંગ કરિયરમાં પણ આ વર્ષે મોટો ફેરફાર આવ્યો છે. આગામી IPL સિઝનમાં અર્જુન મુંબઈ ઈન્ડિયન્સને બદલે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. વર્ષ ૨૦૨૩માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરનાર અર્જુનને છેલ્લી સિઝનમાં રમવાની તક મળી નહોતી. હવે તે લખનૌની ટીમ સાથે નવી શરૂઆત કરવા માટે સજ્જ છે, જે તેના કરિયર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.



