દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી, કપિલ દેવે માગી મદદ | મુંબઈ સમાચાર
નેશનલસ્પોર્ટસ

દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી, કપિલ દેવે માગી મદદ

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર તેમજ પૂર્વ કૉચ અંશુમન ગાયકવાડની હાલત ગંભીર થઇ ગઈ છે. બ્લડ કેન્સર જેવી ખતરનાક બીમારી સામે ઝઝુમી રહેલા અંશુમન ગાયકવાડ ની તબિયત લથડતા વડોદરાના ગોરવા વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં જ પૂર્વ કેપ્ટન કપિલ દેવે હવે અંશુમાન ગાયકવાડની સ્થિતિ વિશે વાત કરી હતી અને સાથે જ બીસીસીઆઈ પાસે મદદ માંગી હતી. આ પૂર્વ ક્રિકેટરને મદદ કરવા કપિલ દેવે અપીલ કરી છે. કપિલે કહ્યું કે, આ ખૂબ જ નિરાશાજનક છે. હું દુ:ખી છું કારણ કે હું ગાયકવાડ સાથે ઘણો રમ્યો છું અને તેમને આ સ્થિતિમાં નથી જોઈ શકતો. તેમણે ક્રિકેટ ચાહકોને પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરાના દિગ્ગજ ખેલાડી રહી ચૂકેલા ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની થોડા સમય પહેલા લંડનની હૉસ્પટલમાં સારવાર કરવામાં આવી હતી. હવે તેઓની તબિયત વધુ લથડતાં ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

71 વર્ષીય અંશુમન ગાયકવાડ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન તેમજ કોચ પણ રહી ચૂક્યા છે. 1975 થી 1987 સુધી અંશુમન ગાયકવાડનું ટેસ્ટ કરિયર રહ્યુ હતુ જેમાં તેમને ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. ત્યારે અંશુમન 1997થી 1999 સુધી અને પછી ફરીથી વર્ષ 2000માં ભારતીય ટીમના કોચ બન્યા હતા. અને તેમના અંશુમનના કાર્યકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ 2-1થી ભારતીય ટીમે જીતી મેળવી હતી.

Back to top button