ગણપતિ બાપ્પાને દુર્વા કેમ ચડાવવામાં આવે છે, જાણો કારણ અને નિયમો

મુંબઈ સહિત દેશભરમાં વિઘ્નહર્તા ગણપતિને ઘરે લાવવા સૌ કોઈ થનગની રહ્યા છે. તમે ઘરમાં જો બાપ્પાને પધરાવવાના હશો તો તમે ડેકોરેશન વગેરેની ઘણી તૈયારી કરી લીધી હશે. આ સાથે તમે પૂજાવિધિ માટે પણ ઘણું વિચારતા હશો તો તમને જણાવી દઈએ કે તમે જેટલા દિવસ પૂજા કરવાના હો, તેટલા દિવસ તમારા પૂજાપાની થાળીમાં દુર્વાનું હોવું જરૂરી છે. ત્યારે સવાલ એ છે કે આ ઘાસનું આટલું મહત્વ શા માટે છે. તો આવો તમને જણાવીએ ક ગણપતિની પૂજામાં દુર્વાનું આટલું મહત્વ શા માટે છે.
ઋષિ કશ્યપે ગણેશજીને સા માટે આપ્યા દૂર્વા
પૌરાણિક કથા અનુસાર અનલાસૂર નામનો એક રાક્ષસ હતો, જે તપ અને ધ્યાન ધરતા ઋષિઓ સહિત મનુષ્યોને પરેશાન કરતો અને તેને જીવતા ગળી જતો હતો. આ રાક્ષસનો ક્રોધ એટલો હતો કે તે બધુ નષ્ટ કરી નાખતો. તેના વેરેલા વિનાશથી સૌ કોઈ કંટાળ્યા હતા. તેમનાથી કંટાળી તમામ દેવી-દેવતા દેવોના દેવ મહાદેવ પાસે પહોંચ્યા અને અનલાસૂરનો વધ કરવા કહ્યું. તે સમયે તમામ દેવી દેવતાને વિશ્વાસ હતો કે અનલાસૂરને ગણેશ હરાવી શકશે. દેવોની વિનંતીથી ગણેશજી અનલાસૂરને જ જીવતો ગળી ગયા, પણ પછી તેમના પેટમાં બળતરા થવા લાગી. બધા ઉપાયો કર્યા પણ કોઈ રાહત ન થતાં દેવી-દેવતાઓ ચિંતામાં મૂકાયા. તેવામાં ઋષિ કશ્યપને આ વાતની જાણ થઈ. તેમણે ગણેશ ભગવાનને દુર્વાના 21 ગઠ્ઠા બનાવીને આપ્યા. તે આરોગતા જ ગણેશજીની પેટની અગન શમી અને ગણેશ ભગવાનને રાહત થઈ. આ કારણે આજે પણ ભક્તો ગણેશજીને દુર્વા ધરે છે.
દુર્વા તમે ઘરે લાવો ત્યારે તેને સ્વચ્છ પાણીએ ધૂવો અને પછી 11 જોડી બનાવી અર્પણ કરો. દુર્વા કયારેય એકી સંખ્યામાં ચડાવશો નહીં, હંમશાં જોડી બનાવી દુંદાળા દેવને ચડાવો. લોકોની એવી શ્રદ્ધા છે કે દુર્વા ચડાવવાથી મનોકામના પૂરી થાય છે. તો તમે પણ પૂજા કરો ત્યારે દુર્વા ચડાવવાનું ભૂલશો નહીં.
આપણ વાંચો: આવતીકાલે વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્રઃ જાણો મૂહુર્ત અને મહત્વ