IRCTCના પોર્ટલ પર મિનિટોમાં ટિકિટ બુક થવાનું ‘સિક્રેટ’!

શું તમે ક્યારેય IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ)ની બુકિંગ વિન્ડો ખોલી ટ્રેન ટિકિટ બુક કરવાનો પ્રયાસ કર્યો હોય અને ખોલતાની સાથે જ થોડી મિનિટોમાં જ બધી વેચાઈ ગઈ હોય એવું બન્યું છે? આવું થયું હોય એવા તમે એકલા નથી.
દરેકને ક્યારેક તો આવો અનુભવ થયો જ છે. મીડિયાના અહેવાલ મુજબ IRCTC એ સમગ્ર ભારતમાં મુસાફરોને પરેશાન કરી રહેલા આ મુદ્દા પાછળ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
આપણ વાંચો: આ રીતે લાઈનમાં ઊભા રહ્યા કે કોઈ પણ ઝંઝટ વિના ઝટપટ કરો બુક ટિકિટ, IRCTCનું આ ફિચર…
આઈઆરસીટીસીએ 2.9 લાખ શંકાસ્પદ બુકિંગ શોધ્યા
જાન્યુઆરી અને મે 2025ની વચ્ચે IRCTCએ 2.9 લાખ શંકાસ્પદ ટિકિટ બુકિંગ (PNR) શોધી કાઢ્યા, જે બુકિંગ વિન્ડો ખુલ્યાના માત્ર પાંચ મિનિટમાં કરવામાં આવ્યા હતા. આ નિયમિત મુસાફરો નહોતા, પરંતુ ટિકિટ બ્લોક કરવા માટે ઓટોમેટેડ ટૂલ્સ અને નકલી યુઝર એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારા હતા.
2.5 કરોડથી વધુ નકલી યૂઝર આઈડી નિષ્ક્રિય કર્યાં
ભારતીય રેલવેએ આ સમયગાળા દરમિયાન કડક કાર્યવાહી કરી હતી અને 2.5 કરોડથી વધુ નકલી યુઝર આઈડી નિષ્ક્રિય કર્યાં હતા, અને અન્ય 20 લાખ આઈડી ફરીથી ચકાસણી માટે માર્ક કરવામાં આવ્યા હતા. આમાંના મોટા ભાગના એકાઉન્ટ્સ કામચલાઉ ઇમેઇલ આઇડીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા. કામચલાઉ ઇમેઇલ આઈડીનો ઉપયોગ ફક્ત થોડી વાર માટે જ થતો હતો, જેના કારણે ગુનેગારોને શોધવાનું મુશ્કેલ બન્યું હતું.
આપણ વાંચો: આ રીતે બુક કરશો ટિકિટ તો મળશે કન્ફર્મ લોઅર બર્થ, IRCTC પણ નહીં શેર કરે આ સિક્રેટ ટિપ્સ…
6,800થી વધુ નકલી ઈમેલના ડોમેન બ્લોક કર્યાં
નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર 134 ફરિયાદ પહેલાથી જ દાખલ કરવામાં આવી છે, અને કાર્યવાહીના ભાગ રૂપે 6,800થી વધુ નકલી ઇમેઇલ ડોમેન બ્લોક કરવામાં આવ્યા છે. આ બનાવટી એજન્ટ મોટી સંખ્યામાં ટિકિટ બુક કરાવતા હતા અને બાદમાં તે વાસ્તવિક મુસાફરોને મોંઘા ભાવે વેચતા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમસ્યા ખાસ કરીને વધુ માંગવાળા રૂટ પર અને સીઝન દરમ્યાન વધુ ગંભીર હતી.
બુકિંગ સિસ્ટમને સુરક્ષિત બનાવવા એક્ટિવ
આના ઉકેલ માટે IRCTC એ હવે એન્ટિ-BOT ટેકનોલોજી લાગુ કરી છે, જેથી ટિકિટ બુક કરાવનાર વ્યક્તિ વાસ્તવિક માનવ છે કે સોફ્ટવેર બોટ છે તે શોધી શકાય. સાથે તેઓ તેમની બુકિંગ સિસ્ટમને ઝડપી અને સુરક્ષિત કરવા માટે એક અગ્રણી કન્ટેન્ટ ડિલિવરી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે.
આપણ વાંચો: IRCTC પોર્ટલના ધાંધિયા યથાવત્ઃ ‘તત્કાલ’ બુકિંગ વખતે જ ‘રીગ્રેટ’, પ્રવાસીઓ લાલઘૂમ
વ્યસ્ત રેલવે રુટ પર વધુ ટ્રેન દોડાવવાનો પ્રયાસ
IRCTCના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓનો વાંક નથી, ખરેખર રિઝર્વેશનની કન્ફર્મ ટિકિટોની અછત છે. આના ઉપાય તરીકે રેલવે વધુ ટ્રેનો દોડાવવાની સાથે વ્યસ્ત રૂટ પર સીટની વધુ ક્ષમતા વધારવા માટે કામ કરી રહી છે. છેતરપિંડી વિરોધી ઝુંબેશ ચાલુ રહેશે, જેથી ખાતરી કરી શકાય કે વધુ વાસ્તવિક મુસાફરો સીધી અને સુરક્ષિત રીતે તેમની ટિકિટ બુક કરી શકે.