ભારતનાં બે રાજ્યોમાં મહિના પછી દિવાળી મનાવાશે, કેમ છે બુઢી દિવાલીની પરંપરા ?

દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે, પરંતુ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આ પર્વ એક મહિના પછી ઉજવાય છે, જેને સ્થાનિક લોકો આ તહેવારને ‘બૂઢ્ઢી દિવાળી’ કહે છે. આ અનોખા તહેવારમાં રસ્સાખેંચ, મશાલ જુલૂસ અને પરંપરાગત રીતરિવાજોનો સમાવેશ થાય છે, જે આ પ્રદેશની સંસ્કૃતિને વધુ ખાસ બનાવે છે. આ તહેવાર પર્યાવરણને અનુકૂળ રીતે ઉજવાય છે અને સ્થાનિકોમાં ખૂબ ઉત્સાહ જગાવે છે.
ઉત્તરાખંડમાં દિવાળી મુખ્યત્વે ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં, એટલે કે 20 કે 21 ઓક્ટોબરે ઉજવાય છે, પરંતુ પહાડી વિસ્તારોમાં 11 દિવસ પછી અથવા નવેમ્બરના બીજા-ત્રીજા સપ્તાહમાં ‘બૂઢ્ઢી દિવાળી’ ઉજવાય છે. આ પર્વને ઉત્તરાખંડના જૌનસાર બાવરમાં ‘બગવાલ’ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે હિમાચલના કુલ્લુમાં પણ આ રીતે ઉજવણી થાય છે. આ તહેવારની ખાસિયત તેની પરંપરાગત રીતો અને પર્યાવરણ પ્રત્યેની સભાનતા છે.
‘બૂઢ્ઢી દિવાળી’નું નામકરણ એવી માન્યતા પરથી થયું છે કે હિમાલયના આ વિસ્તારોમાં ભગવાન રામની રાવણ પરની જીતના સમાચાર એક મહિના પછી પહોંચ્યા હતા. આ કારણે સ્થાનિક લોકોએ તે સમયે દિવાળી ઉજવી, જે હવે પરંપરા બની ગઈ છે. આ તહેવાર જીવનની મુશ્કેલીઓ અને દુષ્ટ શક્તિઓથી મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે, અને તેની ઉજવણી સ્થાનિક સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.
પર્યાવરણને અનુકૂળ ઉજવણી
જૌનસાર બાવરમાં બૂઢ્ઢી દિવાળી ઘણા દિવસો સુધી ચાલે છે, જેમાં ફટાકડાને બદલે ભીમલની લાકડીની મશાલો પ્રગટાવવામાં આવે છે. ગ્રામજનો પરંપરાગત વેશભૂષામાં ગામના પંચાયતી આંગણે કે ખેતરમાં એકઠા થાય છે અને ઢોલ-નગારાના તાલે રાસો, તાંદી, ઝેન્તા અને હારૂલ જેવા નૃત્યો કરે છે. આ ઉજવણી પર્યાવરણને અનુકૂળ હોવાથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જે આ પ્રદેશની સંસ્કૃતિને ઉજાગર કરે છે.
જૌનસાર બાવર અને કુલ્લુના લોકો આ તહેવારને પાકની કાપણી પછી ઉજવે છે, કારણ કે આ વિસ્તારો કૃષિ પ્રધાન છે. આ પર્વ ભગવાન રામના અયોધ્યા પરત ફરવાની ખુશીની સાથે સ્થાનિક લોકોના ખેતી આધારિત જીવનની સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. બૂઢ્ઢી દિવાળીની આ પરંપરા આજે પણ બુજુર્ગો અને યુવાનોમાં સમાન ઉત્સાહ જગાવે છે અને તે હિમાલયની સંસ્કૃતિનું અદભૂત ઉદાહરણ છે.