સ્પેશિયલ ફિચર્સ

અમદાવાદ પ્લેન ક્રેશઃ શું તમે પણ હવાઈ મુસાફરી કરતાં ડરો છો? એક વખત આ વાંચી લેશો તો…

અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ171 ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ મેઘાણી નગર ખાતે 12મી જૂનના ક્રેશ થઈ થઈ ગઈ હતી. અને આ દુર્ઘટનામાં ફ્લાઈટમાં સવાર 242માંથી 241 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાને પગલે અનેક લોકો હવાઈ મુસાફરી કરતાં પહેલાં ડરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટના બાદ અનેક લોકોએ હવાઈ મુસાફરીના ડરને કારણે, એન્ઝાઈટીને કારણે ટિકિટ કેન્સલ કરાવી છે. પરંતુ જેમના માટે એર ટ્રાવેલ ખૂબ જ જરૂરી છે એમના માટે તો ટિકિટ કેન્સલ કરાવવી એ કોઈ ઓપ્શન નથી. આજે અમે અહીં કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેને કારણે તમારો આ ડર દૂર થઈ જશે અને તમે હવાઈ મુસાફરીનો આનંદ માણી શકશો.

હવાઈ મુસાફરીમાં ડર લાગવો એ કોઈ નવી વાત નથી. આ ડર ખૂબ જ સામાન્ય છે, પણ અમદાવાદની દુર્ઘટના બાદ આ ડર ખૂબ જ વધારે ઉંડો અને શારીરિક રૂપથી અનુભવાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈને પણ સમજાવવું એ પહેલાં કરતાં વધારે અઘરું થઈ પડ્યું છે.

આપણ વાંચો: અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં બીજે મેડિકલ હોસ્ટેલના 4 સ્ટુડન્ટના મોત

કેમ લાગે છે ડર?

મનોરોગનિષ્ણાતના જણાવ્યા અનુસાર આ ડર વિમાનનો નથી હોતો, પણ એ પરિસ્થિતિ માટેનો હોય છે જેના પર આપણું કોઈ નિયંત્રણ નથી હોતું. તમે જમીનથી હજારો ફીટ ઉપર એક વાહનમાં બેઠા છો, આસપાસમાં તદ્દન અજાણ્યા લોકો છે જેમના હાથમાં તમે તમારા જીવનની ડોર સોંપી છે. આ સ્થિતિમાં તમે કંઈ જ કરી શકતા નથી. અસહાયતાની આ લાગણી જ લોકોમાં ડર જગાવે છે. પરંતુ કેટલી એવી ટિપ્સ છે જેની મદદથી તમે તમારો આ ડર દૂર કરી શકો છો.

તમારા ડરને ઓળખો

ડરને દૂર કરવા માટે સૌથી પહેલાં તો પોતાના ડરને ઓળખવું ખૂબ જ જરૂરી છે. જેમ કે તમને કદાચ એ ડર લાગે છે કે વિમાન ક્યાંક ક્રેશ ના થઈ જાય કે પછી 35,000 ફીટની ઉંચાઈ પર અનુભવાતા આંચકાઓથી તમને ડર લાગે છે. અચાનક જ્યારે વિમાન ઉંચાઈ પર જાય છે કે ટેક ઓફ કરે ત્યારે ડર લાગે છે કે ચારે બાજુથી બંધ હોવાને કારણે ડર લાગે છે. તમારા ડરને ઓળખશો તો જ તમે તેને દૂર ભગાવી શકશો.

આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ પ્લેન ક્રેશ પહેલાં જ બ્રિટીશ નાગરિકે શેર કરેલો વીડિયો થયો વાઈરલ, જોઈને આંખો ભરાઈ આવશે…

ઉંડા શ્વાસ લો

કન્ટ્રોલમાં રહીને ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. આ ઉપાયથી તમારી એન્ઝાઈટી દૂર થાય છે. ચાર સુધી ગણતા શ્વાસ લો અને પછી ચાર સુધી ગણો ત્યાં સુધી શ્વાસને રોકી રાખો અને ત્યાર બાદ છ સુધી ગણતાં ગણતાં ધીરે ધીરે શ્વાસ છોડો. તમે ઈચ્છો એ રીતે સમય વધારી પણ શકો છો. આને કારણે તમને શાંતિનો અનુભવ થશે. બ્રીધિંગ એક્સરસાઈઝ આ પરિસ્થિતિમાં સૌથી વધુ મદદ કરે છે.

ધ્યાન ભટકાવો

એર ટ્રાવેલ કરતાં પહેલાં એના વિશે વધારે ના વિચારો કે ન તો એ વાતનો વિચાર કરો કે વિમાન ટેક ઓફ કરશે ત્યારે શું થશે? આવા પ્રકારના વિચારો તમારી એન્ઝાઈટી વધારે છે. ધ્યાન ભટકાવવા માટે તમે તમારી ગમતા ગીત સાંભળો, પોડકાસ્ટ સાંભળો, પુસ્તક વાંચો કે ફિલ્મો જુઓ. મનને ડાયવર્ટ કરશો તો તમને ડર નહીં લાગે.

આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં Amitabh Bachchanએ પણ ગુમાવી નજીકની વ્યક્તિને, પોસ્ટ કરીને કહ્યું…

કેફિન અને આલ્કોહોલથી દૂર રહો

ફ્લાઈટ બોર્ડ કરતાં પહેલાં કે ફ્લાઈટમાં ક્યારેય કેફિન લે અલ્કોહોલનું સેવન ન કરો. આ બંને વસ્તુઓ તમારો ડર વધારવામાં નિમિત્ત બને છે. આનાથી બચવા માટે તમે શાંતિ અને માઈન્ડ રિલેક્સ કરતી ચાનું સેવન કરી શકો છો.

ક્રુ સાથે વાત કરો

જો તમને કોઈ પણ પ્રકારનો ડર સતાવી રહ્યો છે તો એના માટે તમારે એરલાઈનના ક્રુ મેમ્બર્સ સાથે વાત કરવી જોઈએ. આ પ્રકારની વાત કરતી વખતે બિલકુલ સંકોચ ના કરવો જોઈએ. ક્રુ મેમ્બર્સને આવી સ્થિતિમાંથી કઈ રીતે બહાર આવી શકાય એ માટે વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવે છે. તેઓ તમને શક્ય એ તમામ મદદ કરી શકે છે, એટલે તેમની સાથે વાત કરતાં ખચકાવવાની જરૂર નથી.

પ્રોફેશનલ હેલ્પ લો

જો તમને વધુ ડર લાગે છે તો તમે સીબીટી થેરેપી કે પછી ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાની મદદ લઈ શકો છો. આ ડર સતત રહેતો હોય અને તેની તમારી ડે ટુ ડે લાઈફ પર અસર જોવા મળતી હોય, તમે ટ્રાવેલ કરવાનું ટાળવા લાગ્યા હોવ કે ઉંઘી ના શકતા હોવ તો તમારે ચોક્કસ જ મનોવિશ્ચેષકની મદદ લેવી જોઈએ. થેરેપી તમારા ડરને દૂર કરવામાં મદદ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button