ભારતમાં ઉપરાષ્ટ્રપતિને પગાર નથી મળતો, તો પણ મળે છે ₹ 4 લાખ, જાણો કેમ?

Benefits of Vice President of India: જગદીપ ધનખડના રાજીનામા બાદ ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હતું. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણી હાથ ધરવામાં આવી છે. સૌ કોઈની નજર ચૂંટણીના પરિણામ પર છે. પરંતુ શું તમે જાણો છો કે ઉપરાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય છે? તેમને બીજા કયા કયા લાભ મળે છે? આવો જાણીએ.
ઉપરાષ્ટ્રપતિને નથી મળતો કોઈ પગાર
ભારતના બંધારણના અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે, ત્યારે તેઓ રાષ્ટ્રપતિ તરીકેનું કામ કરે છે. પરંતુ આવા સંજોગો બહુ ઓછા સર્જાતા હોય છે. જોકે, ઉપરાષ્ટ્રપતિને કોઈ પગાર મળતો નથી. પરંતુ તેઓ રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે કામ કરે છે. તેઓનો કાર્યકાળ પણ રાજ્યસભાના સભ્ય જેટલો જ હોય છે. જેથી તેઓને રાજ્યસભાના સભ્યની રૂએ પગાર મળે છે. જે હાલ 4 લાખ રૂપિયા છે.
ઉપરાષ્ટ્રપતિને મળતા લાભ
રાજ્યસભાના સભાપતિ તરીકે તેઓને 4 લાખ રૂપિયાના પગાર સિવાય મફત ઘર, તબીબી સંભાળ, ટ્રેન અને હવાઈ યાત્રા, લેન્ડલાઈન કનેક્શન, મોબાઈલ ફોન સેવા, પર્સનલ સીક્યોરિટી અને સ્ટાફ જેવી સેવાઓ મળે છે. આ ઉપરાંત, તેઓને નિવૃત્તિ બાદ દર મહિને 2 લાખ રૂપિયા પેન્શન, ટાઈપ-8 બંગલો, એક પર્સનલ સેક્રેટરી, એક અધિક સેક્રેટરી, એક પર્સનલ આસિસ્ટન્ટ, એક ડૉક્ટર, એક નર્સિંગ અધિકારી અને ચાર વ્યક્તિગત નર્સ મળે છે.
વિજેતા ઉમેદવારની આજે જાહેરાત
ઉલ્લેખનીય છે કે, ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધને જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે. હાલ સંસદ ભવન ખાતે 17માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ વિજેતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો…આજે ભારતને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ: આ સાંસદો મતદાન નહીં કરે, આટલા વાગ્યે આવશે પરિણામ…