વરિયાળીને ચાવવી જોઈએ કે તેનું પાણી પીવું જોઈએ? જાણો શરીર પર કઈ પદ્ધતિ કરશે વધારે અસર

Fennel health benefits: મોટાભાગના ઘરના રસોડામાં વરિયાળી જોવા મળે છે. જમ્યા બાદ લોકો તેનો મુખવાસ તરીકે ઉપયોગ કરતા હોય છે. જોકે ઉનાળામાં વરિયાળીને સુપરફૂડ માનવામાં આવે છે. ઘણા લોકો વરિયાળીનું પાણી પીવે છે તો કેટલાક ખાધા પછી તેને ચાવીને ખાય છે. પરંતુ આ બંનેમાંથી કઈ પદ્ધતિ વધુ સારી છે? તેને લઈને જુદી જુદી માન્યતાઓ પ્રવર્તમાન છે. ત્યારે વરિયાળીનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? આવો જાણીએ.
વરિયાળી ચાવવાના ફાયદા
વરિયાળીને ચાવવાથી ઘણા ફાયદા થાય છે. તેનાથી પાચન સુધરે છે, પેટ ફૂલવાની અને ગેસની સમસ્યામાં રાહત મળે છે. વળી, તેને ચાવવાથી મોઢામાં લાળનું ઉત્પાદન વધે છે, જેનાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. આ ઉપરાંત, તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે.
વરિયાળીનું પાણી પીવાના ફાયદા

વરિયાળીના પાણીમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. રાત્રે વરિયાળી પલાળીને સવારે ખાલી પેટ તેનું પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે. આ પાણી વજન ઘટાડવામાં, બ્લડ સુગર લેવલ ઘટાડવામાં અને શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં પણ મદદ કરે છે. કેટલાક સંશોધનો અનુસાર, માસિક ધર્મ દરમિયાન થતા દુખાવામાં રાહત મેળવવા માટે પણ વરિયાળીનું પાણી પી શકાય છે.
વરિયાળીના ઉપયોગ અંગે નિષ્ણાતોનું મંતવ્ય
ડાયેટિશિયનના મતાનુસાર વરિયાળીને ચાવવાના અને તેનું પાણી પીવાના બંનેના અલગ-અલગ ફાયદા છે. વરિયાળી ચાવવાથી પાચનતંત્ર મજબૂત બને છે. ગેસ અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે અને શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. જ્યારે રાત્રે વરિયાળી પલાળીને સવારે તેનું પાણી પીવાથી વજન ઘટે છે. સાથોસાથ શરીર ડિટોક્સિફાય થાય છે અને પેટની સમસ્યાઓથી રાહત મળે છે. આમ, તમે તમારી સમસ્યા મુજબ વરિયાળીનો ઉપયોગ કરી શકો છો.