ચેતી જજો ! તમારા ચહેરા પરના આ લક્ષણો હોઈ શકે છે હૃદયની બીમારીના સંકેતો

ગુજરાત સહિત ભારતમાં હાર્ટ એટેકથી થનારા મૃત્યુમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ ટીવી જગતની જાણીતી અદાકારા શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકથી મોત થયું. અકાળે મૃત્યુની આ ઘટનાથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ સાથે કેટલાક એવા લોકો છે જેના મૃત્યુ હાર્ટ એટેકથી થયા હોવાના સમાચાર સામે આવતા રહેતા હોય. પરંતુ શું તમને ખબર છે જ્યારે તમે આવી ગંભીર બીમારીની ઝપેટમાં આવવાના હોય, એ પહેલા તમારા શરીર તે પછી તમારા મોં પર ઘણા બદલાવ દેખાવા લાગે છે. આ બદલાવ જાણી સતર્કતા બતાવતા આપણે આવી ગંભીર બીમારીને માત આપી શકીએ છીએ.
હૃદય શરીરનું સૌથી મહત્વનું અંગ છે, જે રક્ત અને ઑક્સિજનનું સંચાલન કરે છે. પરંતુ જ્યારે તે નબળું પડે છે, ત્યારે તેની અસર શરીરના અંગો ઉપરાંત ચહેરા પર પણ દેખાય છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ધૂમ્રપાન, અનિયમિત જીવનશૈલી, તણાવ અને ઊંઘની ઉણપ જેવા કારણો હૃદયને નબળું બનાવે છે. ડૉક્ટરોનું કહેવું છે કે ચહેરા પર દેખાતા કેટલાક લક્ષણો ઓળખીને હૃદયની ગંભીર બીમારીઓને અટકાવી શકાય છે.
હૃદયરોગ નિષ્ણાતોના મતે હૃદયની નબળાઈનું પ્રથમ લક્ષણ ચહેરાનો રંગ નિસ્તેજ કે ફીકો પડવો છે. જ્યારે હૃદય રક્ત પમ્પ કરવામાં નિષ્ફળ જાય, ત્યારે શરીરના ભાગોમાં ઑક્સિજનનો પુરવઠો ઘટે છે, જેનાથી ચહેરો નિર્જીવ દેખાય છે. આંખો નીચે ડાર્ક સર્કલ્સ પણ દેખાવા લાગે છે.
બીજું મહત્વનું લક્ષણ છે ચહેરા કે હોઠનો રંગ નીલો પડવો (સાયનોસિસ). જ્યારે શરીરને પૂરતું ઑક્સિજન ન મળે, ત્યારે હોઠ, નખ અને ચહેરો નીલા કે રાખોડી રંગના દેખાય છે. આ સ્થિતિ હૃદયની ગંભીર સમસ્યાઓ, જેમ કે હાર્ટ ફેલ્યરમાં જોવા મળે છે.
આપણ વાંચો શરીર માટે પાણી અનિવાર્ય, પણ દિવસમાં કેટલું પાણી પીવું તે જાણો છો?
આ ઉપરાંત, ચહેરા પર સતત સોજો કે પફીનેસ પણ હૃદયની નબળાઈનો સંકેત હોઈ શકે છે, જે શરીરમાં પાણીના જમાવડાને કારણે થાય છે, ખાસ કરીને સવારે.
ચોથું લક્ષણ છે વધુ પડતો પરસેવો આવવો. નબળું હૃદય સામાન્ય કામ માટે વધુ મહેનત કરે છે, જેનાથી ચહેરો વારંવાર પરસેવાથી ભીંજાય છે. આ લક્ષણો સાથે થાક, શ્વાસ ફૂલવો કે છાતીમાં દુખાવો હોય તો તાત્કાલિક હૃદયરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. ECG, ઇકો અને બ્લડ ટેસ્ટ જેવી તપાસ સમયસર કરાવવાથી ગંભીર સ્થિતિ ટાળી શકાય છે.