મેલ મેટર્સ : વિશ્વ તમાકુ નિષેધ દિવસ તંબાકુના ઘાતક પ્રહાર વચ્ચે ભારતીય પુરુષ ક્યાં છે?

-અંકિત દેસાઈ
દર વર્ષે 31 મે ના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ મનાવવામાં આવે છે, જે તમાકુના સેવનથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ લાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. ભારતમાં, તંબાકુનું સેવન એક ગંભીર જાહેર સ્વાસ્થ્ય સમસ્યા બની ગયું છે, ખાસ કરીને પુરુષોમાં. તંબાકુ માત્ર સિગારેટ કે બીડી પૂરતું સીમિત નથી. ગુટખા, પાન મસાલા, જર્દા, અને હુક્કા જેવા વિવિધ સ્વરૂપોમાં તેનું સેવન વ્યાપકપણે થાય છે. તંબાકુના આ દરેક પ્રકાર પુરુષોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
તંબાકુમાં નિકોટિન નામનું એક અત્યંત વ્યસનકારક રસાયણ હોય છે, જે મગજ પર સીધી અસર કરે છે અને વ્યક્તિને તેની લત લગાડે છે. આ ઉપરાંત, તંબાકુમાં 7000 થી વધુ રસાયણો હોય છે, જેમાંથી 70 થી વધુ રસાયણો કેન્સરજનક છે. આ રસાયણો શ્વાસ દ્વારા, ચાવવાથી કે ધૂમ્રપાન દ્વારા શરીરમાં પ્રવેશીને વિવિધ અંગોને નુકસાન પહોંચાડે છે અને લાંબા ગાળે ગંભીર રોગોનું કારણ બને છે.
ભારતમાં તંબાકુના કારણે થતા મૃત્યુના આંકડા ચોંકાવનારા છે. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ (WHO) અને ‘ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે‘ (GATS) ના અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે લગભગ 1.3 મિલિયન (13 લાખ) લોકો તંબાકુ સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે. આમાંથી મોટાભાગના મૃત્યુ પુરુષોમાં જોવા મળે છે, કારણ કે પુરુષોમાં તંબાકુનું સેવન સ્ત્રીઓ કરતાં વધુ વ્યાપક છે. તંબાકુના કારણે થતા મૃત્યુનાં મુખ્ય કારણોમાં ફેફસાં- મોઢા- ગળા- અને અન્નનળીનાં કેન્સર ઉપરાંત હૃદય રોગ, સ્ટ્રોક, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), અને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) નો સમાવેશ થાય છે. આ બધા રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તા ઘટાડવાની સાથે સાથે પરિવાર અને સમાજ પર આર્થિક બોજ પણ ઊભો કરે છે.
શારીરિક સ્વાસ્થ્ય પર તંબાકુની અસરો અત્યંત વ્યાપક છે. તંબાકુનું સેવન પુરુષોનાં લગભગ દરેક અંગને અસર કરે છે, જેના કારણે અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાય છે. કેન્સર એ તંબાકુનું સૌથી ભયાનક પરિણામ છે. ધૂમ્રપાન કરનારાઓમાં ફેફસાંનું કેન્સર થવાનું જોખમ ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં 15 થી 30 ગણું વધારે હોય છે. ભારતમાં, તંબાકુ ચાવવાથી મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર અને અન્નનળીનું કેન્સર વ્યાપકપણે જોવા મળે છે, જે પુરુષોમાં કેન્સરનાં મુખ્ય કારણોમાંનું એક છે. આ ઉપરાંત, તંબાકુ પેટ, સ્વાદુપિંડ, કિડની, મૂત્રાશય અને લોહીના કેન્સરનું જોખમ પણ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.
કેન્સર ઉપરાંત, તંબાકુ હૃદય રોગ અને સ્ટ્રોકનું મુખ્ય કારણ છે. તંબાકુમાં રહેલું નિકોટિન રક્તવાહિનીઓને સાંકડી બનાવે છે, જેનાથી રક્ત પ્રવાહ અવરોધાય છે. તે રક્ત ગંઠાવાનું જોખમ પણ વધારે છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોક તરફ દોરી શકે છે. ધૂમ્રપાન કરનારાઓને હૃદય રોગ થવાની સંભાવના બિન-ધૂમ્રપાન કરનારાઓ કરતાં 2 થી 4 ગણી વધારે હોય છે, જે એમના જીવનકાળને નોંધપાત્ર રીતે ટૂંકાવે છે.
શ્વાસ સંબંધી રોગો પણ તંબાકુની ગંભીર આડઅસરો છે. તંબાકુનો ધુમાડો ફેફસાંને નુકસાન પહોંચાડે છે, જેનાથી ક્રોનિક બ્રોન્કાઇટિસ અને એમ્ફિસેમા (જેને સામૂહિક રીતે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ – COPD કહે છે) જેવી બીમારીઓ થાય છે. આ રોગો વ્યક્તિની શ્વાસ લેવાની ક્ષમતાને ગંભીર રીતે અસર કરે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, કફ અને ઘરઘરાટી થાય છે. લાંબા ગાળે, આ રોગો જીવન માટે જોખમી બની શકે છે અને વ્યક્તિને દૈનિક કાર્યો કરવામાં પણ અસમર્થ બનાવી શકે છે.
પુરુષોના પ્રજનન સ્વાસ્થ્ય પર પણ તંબાકુની નકારાત્મક અસર થાય છે. તંબાકુનું સેવન શુક્રાણુની ગુણવત્તા ઘટાડી શકે છે, શુક્રાણુની ગતિશીલતા ઘટાડી શકે છે,જે નપુંસકતાનું કારણ બની શકે છે અને સંતાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે .
પારિવારિક જીવન પર પણ તેની નકારાત્મક અસર થાય છે. આ સિવાય, તંબાકુ દાંત અને પેઢાના રોગો, દ્રષ્ટિ ગુમાવવી (જેમ કે મોતિયા અને મેક્યુલર ડિજનરેશન), રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી અને ઘા રૂઝાવવામાં વિલંબ જેવી અનેક સમસ્યાઓ નોતરે છે. તે ત્વચાને વૃદ્ધત્વના સંકેતો પણ ઝડપી બનાવે છે અને શરીરના હાડકાંને નબળા પાડે છે, જેનાથી ઓસ્ટીયોપોરોસિસનું જોખમ વધે છે.
આ બધાનો ઉપાય શું ?
તંબાકુના ઘાતક પ્રહારોથી બચવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ પગલું તંબાકુનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું એ છે. જો તમે તંબાકુનું સેવન કરો છો તો આજે જ તેને છોડવાનો નિર્ણય લો. આ નિર્ણય મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે નિકોટિન એક શક્તિશાળી વ્યસનકારક પદાર્થ છે, પરંતુ તે અશક્ય નથી. તંબાકુ છોડવા માટેનો પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ તમારો દ્રઢ નિર્ધાર છે. જ્યારે તમે મક્કમ થશો કે તમારે તંબાકુ છોડવું છે ત્યારે જ તમે આ કરી શકશો. તમારી જાતને યાદ કરાવો કે તમે શા માટે છોડવા માગો છો કદાચ તમારા સ્વાસ્થ્ય માટે, તમારા પરિવાર માટે, કે પછી લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે.
આ પણ વાંચો….મેલ મેટર્સ: સ્માર્ટ ફોન્સના આ જમાનામાં માત્ર દૂરની દૃષ્ટિ નહીં, પરંતુ નજર પણ દૂર સુધીની રાખજો!
તંબાકુ છોડવામાં મદદ માટે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડોક્ટર નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (NRT) જેવી દવાઓ (જેમ કે નિકોટિન ગમ, પેચ, ઇન્હેલર) અથવા અન્ય પ્રિસ્ક્રિપ્શન દવાઓ સૂચવી શકે છે, જે નિકોટિનની તલપ ઘટાડવામાં અને ઉપાડનાં લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ભારતમાં ઘણા વ્યસન મુક્તિ કેન્દ્રો પણ છે , જે તંબાકુ છોડવામાં મદદ કરવા માટે કાઉન્સેલિંગ અને સપોર્ટ પૂરા પાડે છે. આ કેન્દ્રોમાં અનુભવી સલાહકારો હોય છે જે વ્યક્તિને વ્યસનમાંથી બહાર આવવા માટે વર્તણૂકલક્ષી થેરાપી અને માર્ગદર્શન આપે છે. સમર્થન જૂથોમાં પણ જોડાવાથી પણ સમાન અનુભવો ધરાવતા લોકો પ્રોત્સાહન પૂરું પાડે છે. તમારા પરિવાર અને મિત્રોનો સહયોગ મેળવવો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એમને તમારા તંબાકુ ત્યાગવાના નિરાધાર વિશે કહો એમનો ટેકો પ્રોત્સાહન તમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની શકે છે. તમને તંબાકુ છોડવા માટે શું પ્રેરિત કરે છે તે શોધો અને તેને તમારી પ્રેરણા તરીકે હંમેશા યાદ રાખો.
તંબાકુની તલપ આવે ત્યારે અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. કસરત કરવી, પુસ્તક વાંચવું, શોખ પૂરા કરવા, કે મિત્રો સાથે સમય વિતાવવો જેવી પ્રવૃત્તિઓ મનને વ્યસનથી દૂર રાખવામાં મદદ કરી શકે છે. શારીરિક પ્રવૃત્તિ તણાવ ઘટાડવામાં અને મૂડ સુધારવામાં પણ મદદરૂપ થાય છે.
તંબાકુના સેવન કરવા પ્રેરે- ઉશ્કેરે એવી વાત એવાં ટ્રિગર્સ ઓળખો અને ટાળો. તેનો સામનો કરવા માટે વૈકલ્પિક વ્યૂહરચનાઓ વિકસાવવાનો પ્રયાસ કરો.
ઉદાહરણ તરીકે, જો તમને ભોજન પછી તંબાકુ લેવાની આદત હોય, તો ભોજન પછી તરત જ દાંત સાફ કરો, પાણી પીવો અથવા ચ્યુઇંગ ગમ મમળાવો.. એક સાથે બધું છોડવાને બદલે, નાનાં લક્ષ્ય નક્કી કરો. (‘આ અઠવાડિયે હું એક સિગારેટ ઓછા પીશ’) જ્યારે તમે આ લક્ષ્યો પ્રાપ્ત કરો ત્યારે તમારી જાતને યોગ્ય પુરસ્કાર આપો.
- અને છેલ્લે, નિષ્ફળતાથી નિરાશ ન થાઓ. જો તમે ફરીથી તમાકુનું સેવન કરી લો, તો નિરાશ ન થાઓ. વ્યસનમાંથી બહાર આવવું એ એક પ્રક્રિયા છે. ફરીથી પ્રયાસ કરો અને ભૂતકાળની ભૂલોમાંથી શીખો કે કઈ પરિસ્થિતિઓમાં તમે નબળા પડ્યા અને તેમાંથી કેવી રીતે બચી શકાય એદ વિશે વિચારો…
આમ આરોગ્યપ્રદ અને તમાકુ મુક્ત જીવન જીવવું એ ફક્ત વ્યક્તિગત પસંદગી નથી, પરંતુ એ તમારી એક પારિવારિક – એક સામાજિક જવાબદારી પણ છે.
આ પણ વાંચો….મેલ મેટર્સ : ઉત્પીડન મામલે પુરુષને કેમ અવગણવામાં આવે છે?