પતિને નામથી બોલાવાય… તુંકારો કરાય?

- કૌશિક મહેતા
ડિયર હની,
તું તો મને તુકારો દઈને બોલાવે છે. આપણાં લગ્ન થયાં અને તું મારા ઘેર આવી અને મને તુંકારો દેઈ બોલાવતી થઈ ત્યારે ઘરના કેટલાક સભ્યોને એ જરા વિચિત્ર લાગતું હતું.
આજે તો પતિ-પત્ની એકબીજાને તુંકારો દઈને બોલાવે એ સામાન્ય બની ગયું છે ને હવે તો ‘બેબી’ કહીને પણ પત્નીઓ પોતાના પતિને બોલાવે છે અને પતિઓ હું જેમ પત્રમાં તને સંબોધન કરું છું એમ ‘હની’ કહીને પણ બોલાવે છે. આ સિવાય કેટલાંક બીજાં નામો પણ છે, જમકે સોનુ- બાબુ …ઈત્યાદિ ઈત્યાદિ… આ મુદ્દે મજાક ઉડાવતા ટુચકાઓ પણ જાણીતા છે.
જોકે, સવાલ એ પણ છે કે, પત્ની પોતાના પતિને કેમ તુંકારો કરીને બોલાવી ના શકે? એક જોક બહુ જાણીતો છે કે કાર્યક્રમમાં ઘણા બધા લોકો બેઠા હોય પણ કોઈ પત્ની ‘એ ય … એ જી…’ એમ કહે તો એનો પતિ જ તુરંત જવાબ દે … ! આવું કઈ રીતે શક્ય બને? હજુ પણ ઘણાં ઘરમાં પત્નીઓ પતિનું નામ લઇ શકતી નથી.
મને આપણા નગીનબાપા વરિષ્ઠ પત્રકાર લેખક નગીનદાસ સંઘવી એ કહેલો આ કિસ્સો યાદ આવે છે. એમણે કહેલું કે, દેશ આઝાદ થયા બાદ પહેલીવાર વસતિ ગણતરી થઇ ત્યારે સરકારી કર્મચારી ગામડે ગામડે, ઘેર ઘેર જતા અને મહિલાઓને પૂછતા કે ‘તમારું પતિનું નામ શું?’ તો પત્ની કહેતી કે, ‘એ તો કામે ગયા છે…’ કર્મચારી પૂછતો કે, ‘એમનું નામ તો કહો …’ પત્ની કહેતી કે ‘નામ તો કઈ રીતે બોલું?’ અને પછી એ શરમાઈ જતી. આ કારણે આપણે ત્યાં પહેલી વસતિ ગણતરીમાં ઘણી બધી માહિતી અધૂરી રહી હતી.
મારી બા કે તારી બાની જ વાત કરીએ તો એ બંને પતિનું નામ ક્યારેય નહોતાં લેતાં. ‘એ ય’ કે ‘એ જી’ કે પછી ‘સાંભળો છો..?’ એમ જ બોલાવતાં. અથવા તો પોતાના કોઈ સંતાનને કહેતા કે, તારા પિતાને કહે તો… એ જમાનામાં આને આદર અને સન્માનનાં ત્રાજવામાં મૂકવામાં આવતું. મને ઘણીવાર પ્રશ્ન થાય છે કે, આવી પ્રથા કોણે પાડી હશે? કદાચ ભારતીય સંસ્કૃતિમાં પતિને ‘પરમેશ્વર’ સમાન ગણવામાં આવે છે.
પતિનું નામ સીધું લેવું એ અનાદર દર્શાવે છે તેવી માન્યતા રહી હશે એટલે નામ લેવાને બદલે કોઈ આડકતરાં સંબોધન કે પછી ‘બબલુનાં બાપુ’ જેવાં સંબોધનોનો ઉપયોગ થાય છે. આ ખૂબ જૂની પરંપરા પેઢી દર પેઢીથી ચાલી આવે છે. દીકરીને બાળપણથી જ શીખવવામાં આવે છે કે પતિનું નામ ન લેવાય.
આ એક પ્રકારનો સંસ્કાર અને ગૃહસ્થ જીવનનો નિયમ માનવામાં આવે છે. આ પ્રથા એટલી હદે રૂઢ થઇ ગઈ છે કે વડીલોની હાજરીમાં તો ઠીક, એકાંતમાં પણ પતિનું નામ લેવાનું ટાળવામાં આવે છે.
આમાં કેટલીક માન્યતા પણ જવાબદાર છે. પતિનું નામ લેવાથી એમની ઉંમર ઘટે છે અથવા સંબંધ પર ખરાબ અસર પડે છે એવું માનવામાં આવે છે. આ એક અંધશ્રદ્ધા છે, જે સંબંધને ‘નજર ન લાગે, કે ‘કોઈ ખરાબ અસર’થી બચાવવા માટે માનવામાં આવે છે.
એ પણ સાચું કે, પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં, પતિને ઘરના વડા અને નિર્ણાયક ગણવામાં આવતા હતા. પત્નીને એનાથી ગૌણ સ્થાન આપવામાં આવતું હતું. પતિનું નામ ન લેવું એ એના વર્ચસ્વ અને પત્નીની નમ્રતાનું પ્રતીક પણ હતું.
આજ કારણે ઘણીવાર પત્નીઓ, ખાસ કરીને નવી પરણેલી હોય ત્યારે પતિનું નામ લેવામાં શરમ કે સંકોચ અનુભવે છે. આ એક નવા સંબંધમાં અજાણ્યાપણાનો અને નમ્રતાનો ભાવ પણ હોઈ શકે છે, પણ આ વાત ગળે ઉતરે એવી તો નથી જ. તાજેતરના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલીબહેન ‘વિજય’ સંબોધન કરતા. મુખ્યમંત્રી બન્યા બાદ પણ એમાં કોઈ ફેર પડ્યો નહોતો અને ઘણાને આશ્ચર્ય થતું કે, આ રીતે સીએમને બોલાવાય? જોકે, આ મામલો પતિ-પત્ની વચ્ચેનો છે. એમાં કોઈને આશ્ચર્ય કે અજુગતું કેમ લાગે?
આપણ વાંચો: મેલ મેટર્સ : શું હવેના સમયમાં આપણે રિયલ ફૂડ ખાઈએ છીએ ખરા?
આજ રીતે, આપણા લોકપ્રિય લેખક તારક મહેતા એમની પત્નીને ‘જાડી’ કહીને બોલાવતા. ઇન્દુબહેન શરીરે મેદસ્વી હતાં, પણ તારકભાઈ તો પ્રેમથી એમને આ સંબોધન કરતા.
આવા તો અનેક દાખલા આપી શકાય, પણ પતિએ પત્નીને અને પત્ની પતિને ક્યાં સંબોધનથી બોલાવે એ અન્ય કેમ નક્કી કરે? આવી પ્રથા હોય. ભલે ગમે તેટલી પુરાણી એ પ્રથા હોય, પણ એ તૂટવી જોઈએ. આપણે ત્યાં પતિ એની પત્નીને કોઈ પણ નામે સંબોધી શકે. તુંકારો કરી શકે તો પછી પત્નીને એવો અધિકાર શા માટે નહિ?
ગાંધીજીનો દાખલો પણ આપણી સામે છે. એ કસ્તુરબાને ‘બા’ કહીને બોલાવતા એ કારણે ઘણી મજાક પણ થઇ છે, પણ ગાંધીજી એ રીતે પત્નીનું સન્માન કરતા. સીધી સાદી વાત એ છે કે, પતિ કે પત્ની એકબીજાને કઈ રીતે બોલાવે એ પ્રશ્ન એમના બંનેનો છે. બીજાએ એમાં દખલગીરી કરવી ના જોઈએ.
તારો બન્ની