પુરુષ

માતૃભાષાના યજ્ઞને આ રીતે પ્રજ્વલિત રાખીએ…

-નીલા સંઘવી

‘મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
….. ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે
મલક કંઇ કેટલા ખૂંધા બધાંની ધૂળ ચોંટી પણ
હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે’
કવિ-ગઝલકાર રઇશ મણિયારની આ પંક્તિઓ માતૃભાષાનું મહત્ત્વ ઉજાગર કરે છે. આપણી માતૃભાષા ગુજરાતી મીઠી, મધુર ભાષા છે. કવિઓએ માતૃભાષાને મનભરીને લાડ લડાવ્યાં છે. કવિ દલપતરામ માતૃભાષાનું મહિમાગાન કરતા લખે છે:
‘આય ગિરા ગુજરાતી! તને અતિ શોભિત હું શણગારહ સજાવું…’

ખલીલ ધનતેજવી લખે છે ‘વાત મારી જેને સમજાતી નથી.’
એ ગમે તે હોય ગુજરાતી નથી.’

ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ-ગીતકાર વિનોદ જોશી કહે છે:
‘એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી;
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.’

વાંચક મિત્રોને થશે: લેખિકા હમણાં ‘સંધ્યા-છાયા’ની વાત કરતા કરતા સાહિત્ય અને માતૃભાષાની વાત કરીને વિષયને આડે પાટે લઇ જઇ રહ્યાં છે કે શું? ના, પણ એવું નથી. આ સપ્તાહે માતૃભાષાની વાત શરૂ કરી છે તે પણ ‘સંધ્યા છાયા’ સાથે સંકળાયેલી જ છે.

આપણી પ્યારી માતૃભાષા ગુજરાતીનું આપણને સૌને ગૌરવ છે, પરંતુ અંગ્રેજી ભાષાનો પ્રભાવ એટલો બધો વધી રહ્યો છે કે આપણાં મનમાં એક ડર પેસી ગયો છે કે ગુજરાતી ભાષા મરી રહી છે કે શું? ગુજરાતી ભાષા લાંબો સમય ટકશે નહીં, કારણ કે ગુજરાતી ભાષાની શાળાઓ બંધ થવા માંડી છે. આપણાં બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણે છે. આપણાં બાળકો હવે, ‘મેં એક બિલાડી પાળી છે’ ગાતા નથી. “લિટલ લિટલ ટ્વિંવક્લ સ્ટાર” ગાય છે.

આ બધું જોઇ-સાંભળીને આપણને ચિંતા થાય એ સ્વાભાવિક છે. આપણાં જેવાં કેટલાંય ગુજરાતીઓ ફકત ચિંતા કરીને બેઠાં રહે છે અથવા તો વાર-તહેવારે પોતાની ચિંતા વ્યક્ત કરતા રહે છે. જ્યારે કેટલાંક એવાંયે લોકો છે, જે ફક્ત ચિંતા નથી કરતા, માત્ર ભાષણ નથી ઠોકતા, પણ માતૃભાષાને બચાવવા માતૃભાષાને જીવંત રાખવા ઠોસ પ્રયાસ કરી રહ્યાં છે. ઠોસ કામ કરી રહ્યાં છે.

આવાં લોકોમાંના એક છે. અરવિંદભાઇ… અરવિંદભાઇ આજે પંચ્યાશીથી વધુ વયના છે. અરવિંદભાઇ છેલ્લાં કેટલાંક વર્ષોથી માતૃભાષા ખાતર પોતાનો સમય અને શક્તિ વાપરી રહ્યા છે. એ છેલ્લાં કેટલાંક વર્ષોથી માતૃભાષા ખાતર પોતાનો સમય અને શક્તિ વાપરી રહ્યા છે.

એમના જેવા સહૃદયી મિત્રો સાથે મળીને એ છેલ્લાં 28 વર્ષથી મે વેકેશનમાં ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો ચલાવે છે. મલાડ, કાંદિવલી, બોરીવલી, ઘાટકોપર જેવાં પરાંઓમાં જયાં ગુજરાતીઓની વસતિ વધારે છે, પણ એમનાં જે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે એમને એ ગુજરાતી શીખવે છે.

અરવિંદભાઇનું ધ્યેય એક જ છે. ગુજરાતી પરિવારનાં બાળકો માતૃભાષાથી વંચિત ન રહે. અંગ્રેજીમાં જ્ઞાન મળે છે, પણ સંસ્કાર તો માતૃભાષામાં જ મળે. આ વાતને ધ્યાનમાં રાખીને અરવિંદભાઇ અને એમની ટીમ કામ કરે છે. બાળકોને ગુજરાતી કક્કો, બારાખડી તો શીખવાડે જ પણ જ્ઞાન સાથે ગમ્મત મળે એ હેતુથી કાવ્ય, વાર્તાઓ વગેરે ગવાય, પઠન થાય, નાટક ભજવાય એવાં ઘણાં કાર્યક્રમ થાય.

આ પણ વાંચો…પહેલું સુખ તે જાતે

અરવિંદભાઇ પોતે તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. પોતાની પ્રેક્ટિસ કરવા આ ઉપરાંત કેટલીય સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એમના પત્ની રિટાયર્ડ શિક્ષકા છે. ત્રણ દીકરા પોતાના સંસારમાં વ્યસ્ત છે. અરવિંદભાઇ હર વેકેશનમાં બાળકોને ગુજરાતીનું શિક્ષણ આપે છે. એમના વર્ગની વિશેષતા એ છે કે હરેક બાળકને પોતાના ઘરની આજુબાજુમાં જ માતૃભાષા શીખવા મળે એ માટે અરવિંદભાઇએ ગુજરાતી શીખવવા શિક્ષક-શિક્ષિકાઓની આખી ચેઇન બનાવી છે. રિટાયર્ડ શિક્ષકો, ગૃહિણીઓ બધા આ કાર્યમાં મદદ કરે છે.

ધારો કે કાંદિવલીનો મહાવીરનગર વિસ્તાર છે તો મહાવીરનગરમાં વસતાં બાળકો અગર માતૃભાષા શીખવા ઇચ્છે છે તો એકલા મહાવીરનગર વિસ્તારમાં જ દસેક શિક્ષક આવા કલાસ ચલાવે, જેમને જે નજીક પડે ત્યાં જાય. અરવિંદભાઇએ બધાં શિક્ષકોને તાલીમ આપી છે. અરવિંદભાઇની ટીમે આખો કોર્સ તૈયાર કર્યો છે. એ કોર્સ મુજબ દરેક શિક્ષકો બાળકોને શીખવે છે.

આવા કલાસમાં વિવિધ હરીફાઇઓનું આયોજન પણ કરવામાં આવે છે. બાળકો હોંશે હોંશે આવી હરીફાઇમાં ભાગ લે છે. આ બધી હરીફાઇનો હેતુ એક જ હોય છે. બાળકો ગુજરાતીમાં બોલતા શીખે, લખતા શીખે, વાંચતા શીખે, બાળકો ગુજરાતી કવિતાઓ ગાતા શીખે. અંગ્રેજી કવિતાઓની સાથે ગુજરાતી કવિતા પણ શીખે. ગુજરાતી કવિ-લેખકોને ઓળખે એના વિશે જાણે પરિવારના સંબંધીઓને યોગ્ય રીતે ઓળખે.

આજકાલ અંગ્રેજી મીડિયમનાં બાળકો કાકા, માસા, ફુવા, મામા બધાંને ‘અંકલ’ કહેતા હોય છે. અહીં આ માતૃભાષાના વર્ગમાં અંકલ એટલે કાકા એટલે પપ્પાના ભાઇ. માસા એટલે માસીના પતિ. ફુવા એટલે ફોઇના પતિ. મામા એટલે મમ્મીના ભાઇ આવાં સંબંધોને જુદાં જુદાં ગીતો દ્વારા સમજાવવામાં આવે છે. આને લઈને બાળકોને પારિવારિક સંબંધોની સમજ મળે છે.
એક-દોઢ મહિનો ગુજરાતી શીખવવાના વર્ગો ચાલે એ દરમિયાન જે શીખવવામાં આવે તેની પરીક્ષા લેવામાં આવે. પાસ થનાર બાળકો તેમ જ જેમણે વર્ગો ભર્યા છે તે બધાંને સર્ટિફિકેટ આપવામાં આવે. કોઇ સ્પોન્સર મળી જાય તો ઇનામો પણ આપવામાં આવે. જે હરીફાઇ થઇ હોય તે હરીફાઇમાં જીતનારને પણ ઇનામ આપવામાં આવે.

બાકી તો દરેક બાળકોને નોટબુક-પેન્સિલ-રબર જેવી વસ્તુઓ તો ભેટ આપવામાં આવે જ છે. બાળકોને આવી ભેટ અને પુરસ્કાર આપવા માટે કોઇને કોઇ સૌજન્યકર્તા મળી જ રહે છે. આટલું સરસ કાર્ય થતું હોય તો મદદ કરવા સૌ આગળ આવે જ ને? આ વર્ષે પણ જૂન મહિનાની શરૂઆતમાં માતૃભાષા શીખવા વર્ગમાં ગયેલા દરેક બાળકને બિરદાવવામાં આવ્યા. અરવિંદભાઇ વર્ષ દરમિયાન પણ આ બાળકો માટે પિકનિક, પાર્ટી જેવાં કાર્યક્રમો કરતા રહે છે. માતૃભાષા શીખવા આવતાં બાળકો અને માતૃભાષા શીખવા પોતાના બાળકને મોકલનાર વાલીઓનો અરવિંદભાઇ આભાર માનતા રહે છે.

અરવિંદભાઇનું માનવું છે કે આપણે આવા આવા નાના નાના પ્રયત્ન કરતા રહીશું તો આપણી માતૃભાષા ગુજરાતીને ઉની આંચ નહીં આવે. માતૃભાષા માટે આવું સ-રસ કાર્ય કરનાર અરવિંદભાઇ સાચા અર્થમાં માતૃભાષાની સેવા કરી રહ્યાં છે. આપણે બધાં પણ એમની ટીમમાં જોડાઇને આપણાંથી જે બની શકે એટલો સહકાર આપીને માતૃભાષા યજ્ઞમાં સામેલ થવું જ જોઈએ.

આ પણ વાંચો…મનને ગમે એવું જીવો…એકલતા ઘેરી વળે ત્યારે મનગમતું કામ એ જ નીજ-આનંદ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button