મુખ્બિરે ઈસ્લામઃ કોઈ દેખે યા ન દેખે અલ્લાહ દેખ રહા હય…
પુરુષલાડકી

મુખ્બિરે ઈસ્લામઃ કોઈ દેખે યા ન દેખે અલ્લાહ દેખ રહા હય…

અનવર વલિયાણી

સૃષ્ટિનું સર્જન કરનારા મહાન અલ્લાહતઆલા (ઈશ્વર, પ્રભુ)એ મનુષ્ય માત્રમાં બે ચીજો મૂકી છે, 1-શરીર અને 2-રૂહ (આત્મા): શરીર ફના એટલે કે નાશ થનાર ચીજ છે અને રૂહ બાકી રહેનારી ચીજ છે. એક ખ્યાતનામ શાયરે પોતાના શે’રની બે પંક્તિઓમાં અલ્લાહના આ ભેદને ઘણી જ સહજતાથી વ્યક્ત કરી છે.

જિસ્મ મરતા હૈ લેકિન રૂહ કો મૌત આતી નહીં…!
આ સનાતન સત્ય છે. આત્મા અમર છે, તે મૃત્યુ પામતો નથી. આ સંદર્ભમાં આપણા ગુજરાતી સાહિત્યના મુઠ્ઠી ઊંચેરા શાયર જનાબ બરકત વિરાણી ‘બેફામ’ની આ લા’જવાબ શે’ર પાછળ રહેલી સચ્ચાઈને પણ જાણવી રસપ્રદ બની રહેવા પામશે.

નહોતી ખબર કે રૂહમાં ખૂશ્બુ હોય છે,
મરી ગયા પછી શરીર ગંધાય છે.

આથી પરવરદિગારે શરીર અને રૂહ બંનેની શક્તિ અને કુવ્વત (કૌશલ્ય) માટે અલગ અલગ બજારો બનાવ્યાં છે અને મનુષ્યને ઉંમરની પુંજી અદા કરી છે. તે ફરમાવ્યું છે કે, આ જાહેરી બજારમાંથી, જેમાં દરેક પ્રકારના વસ્ત્રો, અનાજ, મેવા મસાલા, સ્વાદિષ્ટ મીઠાઈઓ દરેક પ્રકારના આરામ તથા આસાએસના તેમના સાધનો એક તરીકાથી (પદ્ધતિથી) રાખવામાં આવ્યા છે.

તેમાંથી જરૂરત મુજબ ખરીદો, ખાવો-પીવો અને જેટલી હદ સુધી શરીરનો હક છે, એટલી હદ સુધી-તેને ખોરાક પહોંચાડો અને મારી બંદગી અને મારી ઈબાદતમાં લાગ્યા રહો. આ થોડા દિવસના ફાની બજારથી તમારા દિલને લોભાવા દેશો નહીં….!

બીજું, રૂહાની બજાર છે. તેમાં પોતાની રૂહની (જે હંમેશાં બાકી રહેનારી છે) તાકાત તથા કુવ્વત માટે અને તેની તાઝગી તથા પરવાઝ (ઊંચું ઉડ્ડયન) માટે અલ્લાહે આપણને રૂહાની બજારો ઈનાયત ફરમાવ્યા છે.

તેને આપણે મસ્જિદો-પ્રાર્થનાલયો કહીએ છીએ. આ રૂહાની બજારમાં દરેક ચીજ મુશ્ક (કેસર) અને અંબરથી મઘમઘતી અને નૂર તથા તજલ્લીથી ભરપૂર સજાવવામાં આવી છે.

હવે ઈન્સાન પોતાની ઉંમર, જે તેની પુંજી છે, તેને લઈને એ જાતે પાકના બરકતવાળા બજારમાં એટલે મસ્જિદમાં હાજર થઈ જાય અને પોતાની હંમેશાં બાકી રહેનારી રૂહની પરવરીશ, તાઝગી, કુવ્વત માટે ખૂબ દિલ ખોલીને રૂહાની સોદા (ચીજો) ખરીદે, દિલ ખોલીને પોતાની રૂહને રૂહાની ખોરાક ખવડાવે અને નૂર ઈમાનનાં છલકાતા જામ પર જામ પીવડાવે, પછી જુઓ કે એ રૂહ કેવાં કેવાં ભયાનક જંગલો, જીવલેણ રસ્તાઓ અને જોખમી ખીણોથી બચાવીને તમને સિદ્દિકો (આલિમ, જ્ઞાની, વિદ્વાનો)ના મુકામ, બુલંદ દરજ્જે (ઉચ્ચ સ્થાને) પહોંચાડી દેશે.

સુબ્હાનલ્લાહ! (સર્વ વખાણ ઈશ્ર્વર માટે) આ રૂહમાં રૂહાની ખોરાક અને રૂહાની દેખરેખને કારણે એવી રૂહાની રોશની અને રૂહાની પરવાઝ આવી જશે, કે સકરાતનો અંધકાર અને કબરનું અંધારું અને પુલસિરાતની સંકડાશ ઝપાટાબંધ નૂર અને તજલ્લીમાં બદલાઈ જશે. દરેક તરફ નૂર જ નૂર ઝગમગી ઊઠશે.

અય પ્યારા મોમીનો! સારી સમજ પેદા કરો અને ઈબરત (જ્ઞાન)ની નિગાહથી જુઓ અને નસીહત (બોધ)ના કાનથી સાંભળો. જે લોકોએ પૂરી ઉંમર માત્ર શરીરની દેખભાળ કરી અને રૂહાની દેખભાળ ના કરી, તેમના તાજા માજા શરીરોને (કબરમાં) કીડાઓ ખાઈ ગયા.

એ તમામ દેખભાળ માટીમાં મળી ગઈ. નતીજો (પરિણામ) એ આવ્યો કે ન તો આખેરતના ભયાનક જંગલો, જીવલેણ રસ્તાઓ અને મુશ્કેલ ખીણોથી બચવાનો કોઈ માર્ગ મળ્યો, ના કોઈ પાક મુકામ હાંસલ કરી શકાયો, ન સકરાતનો અંધકાર, કબરનું અંધારું અને પુલસિરાતની સંકડાશથી ચેન મળ્યું, બલકે સેતાન સાથે દોઝખનો અઝાબ જ મળ્યો. જેણે પોતાની રૂહને રૂહાની ખોરાકથી દેખભાળ કરી, તેને દીન અને દુનિયાનું બધું ચેન, શુકુન અને શાંતિ મળી.

શરીરને પાક-સાફ રાખો અને પોતાની હેસિયત મુજબ પાક-સ્વચ્છ કપડાં પહેરો અને કપડાંમાં દરૂદો સલામના મુશ્ક, અંબર અને ગુલાબનાં અત્તરો લગાવો. એ પછી રબ્બે કા’બાના બજારમાં જઈને પોતાની ઉંમરની પુંજીથી ખૂબ દિલ ખોલીને રૂહને તાજી માજી કરવા માટે રૂહાની ને’મતો (કૃપાઓ) અને રૂહાની ખોરાકનો સોદો કરો. પાક છે તે ઝાતે ઈલાહી, જેણે કાએનાતની તખલીક (પેદા) કરી અને તે જ તેનો પાલનહાર છે.

બોધ: હિકમત (બુદ્ધિ-ચાતુર્ય)ના થોડાંક બોધવચનો ઈન્શાઅલ્લાહ દિલમાં રોશની પ્રગટાવશે. તો મોમીનના બંને જહાં આબાદ બની રહેશે.

*તૂટેલી કબરોને ધ્યાનથી જો કેવાં કેવાં હસીનોની માટી ખરાબ થઈ ગઈ છે.
*તે દિવસ પર ગમગીન થાઓ જે ગુજરી ગયું અને તેમાં કોઈપણ નેકી (પુણ્ય) ન કર્યું.
*ખરાબ છે તે વ્યક્તિ જે પોતે તો મરી જાય પણ તેનો ગુનાહ જીવતો રહે.
*અપમાનના જીવનથી સન્માનની મોત સારી છે.
*તે લોકો સારા ન હોઈ શકે જેઓ આખેરત (મરી ગયા પછીના જીવન) માટે દુનિયા ત્યજી દે છે, સારા અને બહેતર (શ્રેષ્ઠ) તો તે લોકો છે જેઓ દુનિયા અને આખેરત બંને પ્રાપ્ત કરે છે.
*સચ્ચાઈ અને નેકી પર ચાલનારાઓ જન્નત (સ્વર્ગ)માં છે, જૂઠ અને બદકારી (ગુનાહિતકૃત્ય પર ચાલનારા દોઝખમાં છે.
*જે કોમમાં બેહયાઈ, બેશરમી ફેલાઈ જાય તો અલ્લાહતઆલા તેના પર બલાઓ અને આફતોનો અઝાબ (પ્રકોપ) મોકલતો રહે છે, જેમાં જાલિમ શાસનકર્તાને હુકુમત (સત્તા) આપવા સહિત કુદરતી આફતો દ્વારા તે પોતાની નારાજગી પ્રકટ કરતો હોય છે. આ એક સનાતન સત્ય છે જે કદી મિથ્યા થતું નથી.

  • જ્યારથી સૃષ્ટિ અસ્તિત્વમાં આવી ત્યારથી આ પરંપરા ચાલુ છે અને ઈલાહી વાણી મુજબ તો આ કયામતનો સમય ચાલી રહ્યો છે. સેતાન ઈન્સાનનો દિલોદિમાગ પર હાવી થઈ કબ્જો જમાવી દીધો છે.

    સાપ્તાહિક સંદેશ
    કોઈના ઐબ; ખામીઓ અને વાંધાવચકા ન કાઢો અને તમારામાંથી કોઈ એકબીજાની ચૂગલી, ચાડી પણ ન કરો. આ માનસિક બીમારીને દિલોદિમાગમાંથી સદા માટે કાઢી નાખો. સેતાનની વાતમાં ન આવો.
    *સેતાનના ભરમાવવાથી બચતા રહો.

આ પણ વાંચો…મુખ્બિરે ઈસ્લામઃ એક સાચા મુસલમાનની વ્યાખ્યા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button