સુપ્રીમ કોર્ટની 9 જજોની બંધારણીય પીઠ સમક્ષ સબરીમાલા કેસની સુનાવણી દરમિયાન દાઉદી વોહરા સમાજમાં પ્રચલિત ફિમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM)ની પ્રથા પર ઉગ્ર ચર્ચા થઇ. સુપ્રીમ કોર્ટે દાઉદી વોરા સમાજના કેટલાક વર્ગોમાં પ્રચલિત ફિમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM)ની પ્રથાને લઇને મૌખિક રીતે ચિંતા વ્યક્ત કરી.
હકીકતમાં FGMને પડકારતી અરજીઓની સુનાવણી હવે સબરીમાલા કેસની સાથે જ કરવામાં આવશે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે બંધારણના ધાર્મિક આઝાદી સાથે સંકળાયેલા (આર્ટિકલ 25 અને 26) જે મુદ્દે વર્તમાનમાં 9 જજોની બેંચ સમક્ષ વિચારણાધીન છે. તેનો સીધો પ્રભાવ આ કેસ પર પણ પડશે.
મહિલા અધિકાર વિરુદ્ધ ધાર્મિક આઝાદી
અરજદારનો તર્ક છે કે આ પ્રથા મહિલાઓના ગરીમાની સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. બીજી તરફ આ પ્રથાના સમર્થકોનું કહેવું છે કે તેમની ધાર્મિક આસ્થાનું મહત્વનું અંગ છે અને તેને આર્ટિકલ 25 હેઠળ ચાલુ રાખવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દો સંવેદનશીલ છે. કારણ કે એક તરફ આર્ટિકલ 25 અને 26 હેઠળ મળનારી ધાર્મિક સ્વતંત્રતા તો બીજી તરફ માનવીય ગરીમા, સ્વાસ્થ્ય અને મહિલાઓની યૌન સ્વાયત્તતા.
FGM નો વિરોધ કરનારા અરજદારો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ બેન્ચને જણાવ્યું કે આ પ્રથા 7 વર્ષની નાની છોકરીઓ પર પણ કરવામાં આવે છે અને તેના કારણે તેમના શરીરમાં એવા ફેરફારો થાય છે, જેને દુરસ્ત નથી કરી શકાતા, જેની અસર તેમની જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય પર પડે છે.
તેમણે દલીલ કરી કે ઘણા પરિવારો આ પ્રથાનું પાલન માત્ર એટલા માટે કરે છે કારણ કે તેમને ડર લાગે છે કે જો તેઓ તેનું પાલન નહીં કરે, તો તેમને સમાજમાંથી કાઢી મૂકવામાં આવશે. લૂથરાએ તર્ક આપ્યો હતો કે આ પ્રથાને 'અનિવાર્ય ધાર્મિક પ્રથા' (Essential Religious Practice) માની શકાય નહીં, અને તેથી તેને બંધારણની કલમ 26 હેઠળ કોઈ ધાર્મિક સંપ્રદાયના અધિકારોનું રક્ષણ મળવું જોઈએ નહીં.
અરજદારે કહ્યું FGM સ્વાસ્થ્ય માટે જોખમી
બીજી તરફ, જસ્ટિસ જોયમાલ્ય બાગચીની મૌખિક ટિપ્પણી આ કેસમાં સૌથી મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પ્રથાને રોકવા માટે કદાચ બહુ જટિલ બંધારણીય અર્થઘટનની જરૂર નહીં પડે, કારણ કે આ પ્રથા પર કલમ 25 (Article 25) હેઠળ માત્ર 'સ્વાસ્થ્ય' (Health) ના આધારે જ પ્રતિબંધ લગાવી શકાય છે.