Wed Apr 22 2026

Logo

પંજાબમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર બિલ મંજૂર, અનાદર બદલ આજીવન કેદથી મૃત્યુદંડની સજા

1 week ago
Author: Chandrakant Kanojia
Article Image

ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને  વિધાનસભાના ખાસ સત્ર દરમિયાન 'જગત જગત જોત શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર (સુધારા) બિલ, 2026' રજૂ કર્યું હતું.આ સુધારા બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. આ  બિલ પર બોલતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે  શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અનાદર બદલ આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી  છે. 

બિલ અનાદરના કૃત્યો પર જ લાગુ 

મુખ્યમંત્રી ભગવંત માને વધુમાં સ્પષ્ટતા કરી કે હાલમાં, આ બિલ ફક્ત શ્રી ગુરુ ગ્રંથ સાહિબ વિરુદ્ધ અનાદરના કૃત્યો પર જ લાગુ પડે છે. તેમજ  હાલ આ બિલમાં  બિન-શીખો જેમ કે, હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તીઓ, વગેરેના પવિત્ર ગ્રંથો અને ધાર્મિક સ્થળોના અપમાન કે  તેમની સાથે ચેડા કરવા બદલ દંડ ફટકારવાની કોઈ જોગવાઈ નથી. જોકે, અન્ય ધાર્મિક સમુદાયોના સભ્યો સાથે પરામર્શ કર્યા બાદ  એક વ્યાપક કાયદો ટૂંક સમયમાં ઘડવામાં આવશે.

દોષિતને ₹25 લાખ સુધીનો ભારે દંડ 

આ નવા કાયદા મુજબ  જો કોઈ વ્યક્તિ શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અનાદર બદલ  દોષિત ઠરે છે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે. તેમજ  દોષિતને ₹25 લાખ સુધીનો ભારે દંડ ફટકારવામાં આવી શકે છે. તેમજ  આ ગુનો બિન-જામીનપાત્ર રહેશે. રાજ્યમાં  અત્યાર સુધી અનાદરના  કેસોમાં હળવી સજાને કારણે ગુનેગારોમાં કાયદાનો ડર પ્રમાણમાં ઓછો હતો, જો કે, આજીવન કેદની સંભાવના અને ₹25 લાખના દંડ લોકોમાં ડર પેદા કરશે.