Wed Apr 29 2026

Logo

નહીં પેટ્રોલ ખતમ થાય કે નહીં ગેસ, મિડલ ઈસ્ટની લડાઈના માહોલમાં ભારતે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

1 month ago
Author: Mumbaisamachar Team
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવગ્રસ્ત માહોલ વચ્ચે ભારત સપ્લાય ચેઈનને લઈ સંપૂર્ણ રીતે એલર્ટ છે. ગ્રૂપ ઓફ મિનિસ્ટરની એક મહત્ત્વની બેઠકમાં મિડલમાં ચાલી રહેલા યુદ્ધને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મોટા મંત્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પેટ્રોલિયમ અને શિપિંગ મંત્રાલાયે સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં ફ્યુલની કોઈ અછત નથી. ભારત જહાજ પણ સુરક્ષિત છે. આ વિષય પર ચર્ચા કરવા માટે સરકારે તમામ પક્ષોની એક બેઠકનું પણ આયોજન કર્યું છે. 

લેવાઈ શકે છે કોઈ મોટો નિર્ણય
મિડલ ઈસ્ટમાં વણસી રહેલી સ્થિતિને કારણે ભારત દેશની ચિંતામાં એકાએક વધારો થયો છે. સરકાર હાલમાં એ વાતને પ્રાધાન્ય આપી રહી છે કે, ખાડીના દેશમાં લડાઈની અસર ભારતીયોના રસોડા અને સામાન્ય માણસના ખિસ્સા પર ન પડે. આ વિષય પર સરકાર તમામ પક્ષોની એક બેઠક પણ બોલાવી છે, જેથી વિપક્ષને વિશ્વાસમાં રાખીને દેશહિતમાં નિર્ણય લઈ શકાય. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની સંયુક્ત સચીવ સુજાતા શર્માએ લોકોને ખાતરી આપી હતી કે, લોકોએ ખોટી દોટ મૂકવાની જરૂર નથી. દેશના તમામ પેટ્રોલ પંપ પાસે પૂરતું પેટ્રોલ છે, ડીઝલ પણ છે. કેટલાક કોએ ઉતાવળે ગેસના સિલિન્ડર બુક કરાવી દીધા હતા. પણ મંત્રાલયે ખાતરી આપી હતી કે, ગેસના બાટલા માટે પણ દોડવાની જરૂર નથી. 

મહત્ત્વનો આદેશ 
ગેસની પાઈપલાઈન સુવિધા ધરાવતા સ્કૂલ, કૉલેજ અને આંગણવાડીઓમાં 5 દિવસમાં PNG ક્નેક્શન આપવાનો આદેશ કર્યો છે. કમર્શિયલ ગેસનો ક્વોટા પણ વધારી દીધો છે. શિપિંગ મંત્રાલયના વિશેષ સચીવ રાજેશ સિન્હાએ કહ્યું હતું કે, પર્શિયલ ગલ્ફમાં જે ભારતીય જહાજ અટવાયા છે એ તમામ સુરક્ષિત છે. ક્રૂ મેમ્બર્સ અને નાવિક પણ સુરક્ષિત છે. પાઈન ગેસ અને જગ વસંત નામના બે જહાજ સરળતાપૂર્વક સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ ચૂક્યા છે. પાઈન ગેસ 45000 મેટ્રિક ટન LPG લઈને 27 માર્ચે મેંગ્લોર પોર્ટ પર પહોંચશે જ્યારે જગ વસંત આશરે 47600 મેટ્રિક ટન ગેસ લઈ 26 માર્ચના રોજ કંડલના પહોંચશે. હાલમાં અખાતી દેશમાં ભારતીય 20 જહાજ છે. 540 જેટલા નાવિકો ત્યાં છે. સરકાર દૈનિક ધોરણે રિપોર્ટ પર નજર રાખી રહી છે. 

કુટનીતિક પ્રેશર શરૂ
વિદેશમંત્રી એસ.જયશંકરે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રેશર બનાવવાનું શરૂ કરી દીધુ છે. અમેરિકના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે વાતચીત કરી ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ચર્ચા કરી છે. ભારત શ્રીલંકા જેવા પાડોશી દેશના પણ સતત સંપર્કમાં છે. જયશંકરે સ્પષ્ટતા કરી છે કે, ભારતની પ્રાથમિકતા પોતાના નાગરિકોની સુરક્ષા છે. ખાડીના દેશમાં પણ અનેક એવા ભારતીય પરિવારો વસવાટ કરે છે. આ માટે તમામ દેશ પાસેથી સહયોગ માગવામાં આવ્યો છે.