જિંદગી મિલી દુબારાઃ 400 કલાક, 1 મિશન અને 41 જિંદગી…
સૌથી પહેલા બહાર કાઢવામાં આવેલા મજૂરનું નામ રાખ્યું વિજય
ઉત્તરાકાશીઃ ઉત્તરકાશીમાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરને બચાવી લેવાની રેસ્ક્યુ ટીમની આટલા દિવસોની મહેનત આખરે રંગ લાવી છે. સતત 400 કલાક ચાલેલા આ એક મિશનમાં 41 જિંદગીઓ હેમખેમ તબક્કાવાર બહાર આવી રહી છે. આજે સવારથી ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના ઓપરેશન અન્વયે દરેક લોકોને ધીમે ધીમે બહાર લાવવાની કામગીરી ચાલી રહી છે.
પહેલા મજૂરને બહાર કાઢવામાં આવ્યા પછી તેનું નામ વિજય રાખ્યું હતું. ટનલમાંથી એનડીઆરએફની ટીમના સભ્યો દ્વારા તમામ મજૂરને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં પહેલા પાંચને બહાર કાઢ્યા હતા, ત્યારબાદ 12 જણને બહાર કાઢ્યા હતા.
બચાવ કામગીરીમાં સામેલ એક કર્મચારીએ કહ્યું હતું કે ટનલની સ્થિતિ સારી છે અને તમામ મજૂર કુશલ મંગલ છે. એનડીઆરએફની ટીમના ચારથી પાંચ લોકો અંદર ગયા હતા, ત્યાંથી બધાને બહાર કાઢવાની પ્રક્રિયા શરુ કરી છે. મજૂરોને સ્ટ્રેચર મારફત બહાર કાઢવામાં આવી રહ્યા છે. ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા મજૂરોને આગામી 48થી 72 કલાક ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
17 દિવસથી ચાલી રહેલી બચાવ કામગીરીમાં આજે સૌથી મોટા રાહતના સમાચાર મળ્યા હતા. એક કરતા અનેક અવરોધો વચ્ચે મજૂરોને બહાર કાઢવા માટે 57 મીટર જેટલું મેન્યુઅલ ખોદકામ કરીને મજૂરોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા, જેમાં આખરે જંગ જીત્યા હતા.
ફસાયેલા મજૂરોને એક-એક કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે સમગ્ર બચાવ કામગીરી મુદ્દે પીએમઓ તરફથી પણ પળેપળની માહિતી લેવામાં આવી રહી હતી. હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ સિલ્કયારા ટનલ ઉત્તરકાશી જિલ્લાના મુખ્યાલયથી 30 કિલોમીટરના અંતરે આવેલી છે. 12મી નવેમ્બરે આ ટનલનો એક હિસ્સો ધસી પડ્યા બાદ મજૂરો ટનલમાં ફસાઈ ગયા હતા.
12મી નવેમ્બરથી મજૂરોને બચાવવા માટે મિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટેક્નિકલ અને મેન્યુઅલ
ઓપરેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓગર મશીન, વર્ટિકલ ડ્રિલિંગ, રેટ માઈનર્સ સહિતની તમામ કામગીરી હાથ ધરી હતી, જેમાં આજે સફળતા મળવાને કારણે દેશભરમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઓપરેશન સફળ રહ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ઉતરાખંડના મુખ્ય પ્રધાન તેમ જ દેશભરમાં ખુશાલી જોવા મળી હતી. લોકોને મળેલા નવજીવનને કારણે દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.