Happy Birthday: આ કારણે ઝાંખો પડ્યો CMનો જન્મદિવસ પણ…
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Yogi-Adityanath.webp)
હાલમાં દેશભરમાં ગઈકાલે જાહેર થયેલા લોકસભાની ચૂંટણી (Lok Sabha election results)ના પરિણામોની ચર્ચા છે. આ પરિણામોમાં હાલની સત્તાધારી પાર્ટી એનડીએ (NDA)ને અપેક્ષા કરતા ઘણી ઓછી બેઠક મળી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Modi Sarkar)સરકાર સામે અવરોધો ઊભા થયા છે. આ પરિણામોમાં સૌથી વધારે જે રાજ્યએ ઝટકો આપ્યો છે તે છે ઉત્તર પ્રદેશ. અહીં ભાજપને 29 બેઠક ગત ચૂંટણી કરતા ઓછી મળી છે અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વારાણસી બેઠક પરથી ઓછી સરસાઈ સાથે જીત્યા છે. ત્યારે આજે દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો (Yogi Adityanath) જન્મદિવસ ફિક્કો પડી ગયો છે, તેમ કહેવાનું ખોટું નહીં કહેવાય. જોકે હજુ ત્રીજીવાર મોદી સરકાર શપથ લે તેવી પૂરી સંભાવના છે, પરંતુ યુપીનું ઓછું યોગદાન સૌને ખટકી રહ્યું છે તે વાત નક્કી છે.
યોગી આદિત્યનાથનો આજે 52મો જન્મદિવસ છે. તેમનો જન્મ હાલના ઉત્તરાખંડના પૌઢી ગઢવાલ જિલ્લામાં 5મી જૂન, 1972મા થયો હતો. ભગવા વસ્ત્રોધારી યોગી હિન્દુત્વનો આક્રમક ચહેરો લઈ પહેલા સંસદભવન અને હવે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે બે ટર્મથી કાર્યરત છે. તેમની કામ કરવાની સ્ટાઈલ વિવાદાસ્પદ રહી છે, પરંતુ તેમની લોકપ્રિયતાનું કારણ પણ એ જ છે. અપરાધ માટે જાણીતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાથી માંડી એન્કાઉન્ટર સુધીની ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Childhood-photo-of-Yogi-Adityanath.webp)
યોગી એક સ્પષ્ટવક્તા અને બેબાક નેતા તરીકે ઊભરી આવ્યા છે અને 2014 અને 2019માં ઉત્તર પ્રદેશમાં લોકસભા અને વિધાનસભામાં ભાજપનો પડઘમ લહેરાવવામાં મુખ્ય ભૂમિકા તેમણે ભજવી છે. પણ આ ચૂંટણીમાં તેમનો જાદુ ઓસરી ગયો અથવા લોકોએ તેમને અને ભાજપને નકાર્યા જેવી સ્થિતિ બની છે.
ઉત્તર પ્રદેશની 80 બેઠકમાંથી 2019માં ભાજપને 64 મળી હતી, જેમાંથી 29 ઘટી અને હાલની ચૂંટણીમાં 33 બેઠક મળી છે. અહીંથી કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ હારનો સામનો કરવો પડ્યો છે તો જે બેઠકમાં રામ મંદિર આવે છે તે ફૈઝાબાદમાં પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/YOGI-ADITYANATH-OLD-PHOTO.webp)
આ બધા વચ્ચે યોગી આદિત્યનાથ ભાજપને બચાવનારા સાબિત થઈ રહ્યા છે, તેમ રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ઉમેદવારોની પસંદગી પક્ષના આલા નેતાઓએ કરી છે અને યોગીનો આમા કોઈ હાથ નથી. આથી મોદી સરકાર સામેની નારાજગીનો ભોગ ઘણા ઉમેદવારો બન્યા છે, પંરતુ જેમને જીત મળી છે તેમને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના સારા કામ અને યોગીની વિકાસ અને હિન્દુત્વની છબિને કારણે મળી છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/yogi-old-photos.jpeg)
જો યોગીના કામથી સંતોષ ન હોત તો ભાજપે લોકસભામાં વધારે ખોટ પણ સહન કરવાનો વારો આવ્યો હોત, તેમ વિષ્લેષકો જણાવે છે. જોકે લોકસભાની ચૂંટણીમાં હીરો તરીકે ઊભરી આવેલા અખિલેશ યાદવ અને તેનો સમાજવાદી પક્ષ યોગી માટે વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોટો પડકાર બની રહેશે તે વાત નક્કી છે.
આ બધા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ તેમને વધામણાં આપ્યા છે. મોદી હંમેશાં તેમના પ્રશંસક રહ્યા છે અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. મોદીએ ટ્વીટ કરી તેમને શુભેચ્છા આપી છે.